VIDEO : વિધાનસભા ચૂંટણી પહેલા જ પાટીદાર સંસ્થાઓ વચ્ચે વિખવાદ ! આજે યોજાનારી બેઠકમાં 3 સંસ્થા રહેશે ગેરહાજર
અમદાવાદના ઉમિયા કેમ્પસ સોલા ખાતે આજે પાટીદાર સંસ્થાઓની બેઠક યોજાનાર છે, જો કે બેઠક પૂર્વે જ સંગઠિત ગણાતા પાટીદાર સમાજની સંસ્થાઓમાં વિખવાદ સામે આવ્યો છે.
વિધાનસભા ચૂંટણી પહેલા સંગઠિત ગણાતા પાટીદાર સમાજની આજે મહત્વની બેઠક મળશે. અમદાવાદના ઉમિયા કેમ્પસ સોલા ખાતે આ બેઠક યોજાનાર છે. જો કે આ પહેલા જ પાટીદારમાં વિખવાદ સામે આવ્યો છે. માત્ર ઉમિયાધામ ઊંઝા અને સિદસર સંસ્થા જ હાજર રહેશે. તો ખોડલધામ, વિશ્વ ઉમિયાધામ અને સરદાર ધામની ગેરહાજરી જોવા મળશે. ખોડલધામે આ બેઠક અંગે જણાવ્યું કે, અમને પૂછ્યા વગર બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હોવાથી અમે હાજર નહીં રહીએ.
પાટીદાર સંસ્થાઓની બેઠકમાં 3 સંસ્થા રહેશે ગેરહાજર
તો સાથે સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, નરેશ પટેલ બહાર હોવાથી બેઠકમાં ઉપસ્થિત નહી રહે. તો બીજી તરફ વિશ્વ ઉમિયાધામ પણ આ બેઠકમાં નહીં જોડાઈ. આ ઉપરાંત સરદાર ધામ પાટીદાર સંસ્થા શૈક્ષણિક સંસ્થા હોવાના લીધે બેઠમાં હાજર રહેવાનો તેમણે ઈન્કાર કરવામાં આવ્યો છે.
વિધાનસભા ચૂંટણી પહેલા જ્ઞાતિ આધારિત રાજકારણ તેજ
મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીમાં પોતાના સમાજના ઉમેદવારોને ટિકિટ આપવા જ્ઞાતિ અગ્રણીઓની માગ ઉઠી છે. લેઉવા પાટીદારો બાદ કડવા પાટીદારનું લોબિંગ શરૂ થતા રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારોને ટિકિટ ફાળવવા સૂર ઉઠ્યો છે. કડવા પાટીદાર સમાજના અગ્રણી જયરામ પટેલે ભાજપ પાસે સૌરાષ્ટ્રમાં 10 ટિકિટ આપવાની માગ કરી છે. રાજકોટ પશ્વિમ, ધોરાજી, જામજોધપુર, મોરબી સહિત 10 બેઠકો પર કડવા પાટીદાર સમાજને પ્રાધાન્ય મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, અગાઉ જયરામ પટેલે કડવા પાટીદારનું સંમેલન બોલાવી યોગ્ય પ્રભુત્વની માગ કરી હતી.