Gujarat Election 2022 : ફરી ભાજપને જૂના જોગીની પડી જરૂર ! સૌરાષ્ટ્રમાં બીજી વખત મંચ પર રૂપાણી સાથે ગુફ્તગુ કરતા જોવા મળ્યા PM મોદી
રાજકોટથી રાજકીય સફર શરૂ કરનાર વડાપ્રધાન મોદી (PM Modi) ગુજરાતની રાજકીય પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે, ત્યારે રૂપાણીના રાજકીય અનુભવનો લાભ લઇ શકાય તે માટે તેમને મંચ પર જ મહત્વ આપીને કાર્યકર્તાઓને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Election 2022) પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે સત્તા કાયમી રાખવા ભાજપ શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. 182 મિશનના લક્ષ્ય સાથે ભાજપ (BJP) ચૂંટણી જંગના મેદાનમાં ઉતરી છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે રાજકોટની મુલાકાતે હતા. જો કે આ દરમિયાન એક દ્રશ્ય એ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ હતુ. PM નરેન્દ્ર મોદીએ (PM Narendra modI) પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્ટેજ પર પોતાની પાસે બોલાવીને ગુફતગુ કરી હતી. આ ઘટના રાજકીય રીતે એટલા માટે મહત્વની છે, કારણ કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને તેનું જૂથ છેલ્લા ઘણા સમયથી સાઇડ લાઇન હતું અને તેવા સમયે PM સ્ટેજ પર રૂપાણીને મહત્વ આપતા રાજકીય સમીકરણો ગરમાયા છે. જો કે આ પહેલી વાર એવું નથી બન્યું થોડા સમય પહેલા જામકંડોરણા ખાતેની સભામાં પણ મોદી રૂપાણી સાથે ગુફતગુ કરતા જોવા મળ્યા હતા.
ગુજરાતની રાજકીય પરિસ્થિતિથી વાકેફ છે વડાપ્રધાન
રાજકોટથી રાજકીય સફર શરૂ કરનાર વડાપ્રધાન મોદી ગુજરાતની રાજકીય પરિસ્થિતિથી (Gujarat Polictics) સારી રીતે વાકેફ છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા તે પહેલા વર્ષો સુધી તેઓ સૌરાષ્ટ્ર (Saurashtra) ઝોનના મહામંત્રી તરીકે રહ્યા હતા. સૌરાષ્ટ્રની એક- એક બેઠકના સમીકરણોથી તેઓ વાકેફ છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં રૂપાણીના રાજકીય અનુભવનો લાભ લઇ શકાય તે માટે તેમને સ્ટેજ પર જ મહત્વ આપીને કાર્યકર્તાઓને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.
રૂપાણી અને પાટીલ જૂથ વચ્ચે કોલ્ડવોર
એવી પણ ચર્ચા છે કે રૂપાણી અને પાટીલ જૂથ વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું છે ત્યારે રૂપાણીને જાહેર મંચ પર પોતાની પાસે બોલાવીને એક જૂથને સંદેશો આપવાનો પ્રયાસ હોય તેવું પણ લાગી રહ્યું છે. જો કે આ ગુફતગુ બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેજ પર થયેલી વાત અંગે કંઇ બોલવાનું ટાળ્યું હતું, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપે કરેલા વિકાસકાર્યોને લઇને લોકો ભાજપને મત આપશે.આ વખતની ચૂંટણીમાં વર્ષ 2017 માં ભાજપને મળેલી બેઠક કરતા વધુ બેઠક ભાજપ મેળવશે. રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, વર્ષ 2017 માં ભાજપ સામે વિપરીત સ્થિતિ હતી. જો કે આ વખતે ભાજપ વધુમાં વધુ બેઠકો પર જીત કાયમ કરશે.
શું રૂપાણીને સોંપાશે સૌરાષ્ટ્રની જવાબદારી ?
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીની દિવસો બાકી છે. આ વખતે આમ આદમી પાર્ટી (AAP) પણ સૌરાષ્ટ્રમાં ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ભાજપ માટે સૌરાષ્ટ્રમાં જુથવાદ એ સૌથી મોટો પડકાર છે ત્યારે સૌરાષ્ટ્રની બેઠકો કબ્જે કરવા માટે અનુભવી નેતાની જરૂર છે. હાલમાં સૌરાષ્ટ્રના મહામંત્રી તરીકે વિનોદ ચાવડા છે પરંતુ સૌરાષ્ટ્રના મહામંત્રી તરીકે હજુ લાંબો સમય ન થયો હોવાને કારણે તેઓને તમામ બેઠકોની સમિક્ષા કરવી થોડી પડકારજનક બની શકે છે, ત્યારે આ બધાની વચ્ચે વિધાનસભાની ચૂ્ંટણી પહેલા રૂપાણીને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપાઇ તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.