Ahmedabad : સમાજ કલ્યાણ વિભાગની બેદરકારી, 18 મહિનાથી વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત
રાજ્યના એસસી, એસટી અને ઓબીસીના લાખો વિદ્યાર્થીઓને 18 મહિનાથી સ્કોલરશીપ નથી મળી.કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી લેવામાં આવી છે. પરંતુ સ્કોલરશીપની કાર્યવાહી કરવામાં આવી નથી.
SC, ST અને OBCના વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કોલરશીપ આપવા NSUIનું આંદોલન
કોરોના મહામારી બાદ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા છેલ્લા 18 મહિનાથી રાજ્યના SC, ST અને OBCના વિદ્યાર્થીઓને મળવાપાત્ર સ્કોલરશીપ ચુકવવામાં નથી આવી. સ્કોલરશીપ આપવામાં ના આવતા ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો. SC, ST અને OBCના વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કોલરશીપ ચુકવવાની માંગ સાથે એનએસયુઆઈએ હલ્લાબોલ કર્યું હતું. જેમાં કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને મનીષ દોશી પણ હાજર રહ્યા હતા. એનએસયુઆઈનો આક્ષેપ છે કે 18 મહિનાથી સ્કોલરશીપ આપવામાં નથી આવી.
સમાજ કલ્યાણ વિભાગની બેદરકારી, 18 મહિનાથી વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત
રાજ્યના એસસી, એસટી અને ઓબીસીના લાખો વિદ્યાર્થીઓને 18 મહિનાથી સ્કોલરશીપ નથી મળી.કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી લેવામાં આવી છે. પરંતુ સ્કોલરશીપની કાર્યવાહી કરવામાં આવી નથી. રાજ્યની આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ તથા એન્જીનીયરીંગ, ડિપ્લોમા અને પ્રોફેશનલ કોર્ષ કરતા વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી માફીથી લઈ અલગ અલગ યોજના હેઠળ 20 હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે.
સ્કોલરશીપ ઉપરાંત એસસી-એસટીના વિદ્યાર્થીઓને આપવામાં આવતા ફ્રીશિપ કાર્ડ યોજના હેઠળ પણ હજારો વિદ્યાર્થીઓની ફી ચુકવવામાં નથી આવી. જેને લઈને ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજો વિદ્યાર્થીઓને ફી ભરવા દબાણ કરતી હોવાનો આક્ષેપ એનએસયુઆઈએ કર્યો છે. કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ ફ્રીશિપ કાર્ડ ના ચલાવતી હોવાનો આક્ષેપ પણ એનએસયુઆઈએ કર્યો છે. આવી ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ એનએસયુઆઈએ કરી છે.
કયારે મળશે આ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ?
તાત્કાલિક સ્કોલરશીપ આપવા માંગ સાથે એનએસયુઆઈ ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે.સ્કોલરશીપ નહીં મળે તો રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં રાજ્યવ્યાપી આંદોલન કરશે. વિરોધ દરમ્યાન પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી.