Fenugreek Farming: મેથીની ખેતીથી ખેડૂતો મેળવી શકે છે સારો નફો, જાણો સંપૂર્ણ વિગત
ખેડૂતો મોસમી શાકભાજીની ખેતી (Cultivation of Vegetables) તરફ વળી રહ્યા છે. મેથી (Fenugreek Farming) પણ એક એવો જ પાક છે, જે ખૂબ જ ઓછા સમયમાં ખેડૂતોને સારો નફો આપી શકે છે.

દેશના ખેડૂતો (Farmers)હવે ધીમે ધીમે જાગૃત થઈ રહ્યા છે. પરંપરાગત પાકોની સાથે તેઓએ ટૂંકા સમયમાં વધુ ઉત્પાદન આપતા પાકની પણ ખેતી કરવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ખેડૂતો મોસમી શાકભાજીની ખેતી (Cultivation of Vegetables)તરફ વળી રહ્યા છે. મેથી (Fenugreek Farming)પણ એક એવો જ પાક છે, જે ખૂબ જ ઓછા સમયમાં ખેડૂતને સારો નફો આપે છે.
મેથીના પાનથી લઈને દાણા સુધીનું થાય છે વેચાણ
મેથીના દાણાથી માંડીને પાંદડા અને લીલોતરી, તે બજારમાં હાથો હાથ વેચાય જાય છે. મેથી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમે મેથીના પાકમાંથી સારી ઉપજ મેળવવા માંગતા હો, તો તમારા ખેતરોમાં પુસા કસૂરી, RTM-305, રાજેન્દ્ર ક્રાંતિ AFG-2 અને હિસાર સોનાલી જેવી જાતો ઉગાડી શકો છો.
મેથીની વાવણી કેવી રીતે કરવી?
મેથીના દાણાને વાવણી પહેલા 8 થી 12 કલાક પાણીમાં પલાળી રાખો અને 4 ગ્રામ થીરમ, 50% કાર્બેન્ડાઝીમ અથવા ગૌમૂત્રનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયા અથવા જૈવિક ઉપચાર કરી શકાય છે. જણાવી દઈએ કે બીજોપચારના 8 કલાક પછી, મેથીના બીજને ખેતરમાં રોપવા જોઈએ. તેને છંટકાવ અથવા ડ્રિલ પદ્ધતિ દ્વારા ખેતરોમાં વાવવામાં આવે છે.
આ માટે જમીનનું pH મૂલ્ય 6 થી 7 ની વચ્ચે હોવું જોઈએ. મેથીની વાવણી માટે સપ્ટેમ્બર શ્રેષ્ઠ મહિનો છે. મેદાની વિસ્તારમાં તેને વાવવાનો સમય સપ્ટેમ્બરથી માર્ચ સુધીનો છે, જ્યારે પર્વતીય વિસ્તારોમાં જુલાઈથી ઓગસ્ટ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.
સિંચાઈ પ્રક્રિયા
મેથીના છોડને વધુ સિંચાઈની જરૂર પડતી નથી. મેથીના બીજના અંકુરણ માટે ખેતરમાં ભેજની જરૂર પડે છે. તેથી, ખેતરમાં ભેજ જાળવવા માટે, સમયાંતરે પિયત આપવું જોઈએ.
લણણી ક્યારે કરવી?
મેથીનો પાક તૈયાર થવામાં 130 થી 140 દિવસનો સમય લાગે છે. જ્યારે પાંદડા તેના છોડ પર પીળો રંગ બતાવવાનું શરૂ કરે છે, ત્યારે તેની કાપણી કરવી જોઈએ. પાક લીધા પછી તેના છોડને તડકામાં સારી રીતે સૂકવવા જોઈએ. સૂકા પાકમાંથી દાણાને મશીનની મદદથી દૂર કરો. એક હેક્ટર ખેતરમાં લગભગ 12 ક્વિન્ટલ સુધી ઉપજ મળી શકે છે. મેથીના બિયારણની બજાર કિંમત જથ્થાબંધ સ્વરૂપે લગભગ પ્રતિ ક્વિન્ટલ રૂ.5 હજાર છે. આવી સ્થિતિમાં એક હેક્ટરમાં મેથીના પાકનું વાવેતર કરવાથી ખેડૂત સારો નફો મેળવી શકે છે.