નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ ઘઉંને લઈને મોદી સરકારે લીધો વધુ એક મોટો નિર્ણય
રવી માર્કેટિંગ સિઝન (RMS) 2022-23માં 14 મે સુધી સરકાર માત્ર 180 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી શકી છે. કારણ કે આ વખતે ખેડૂતોને ઓપન માર્કેટમાં MSPની બરાબર અથવા તેનાથી વધુ કિંમત મળી રહી છે.
નિકાસ પર પ્રતિબંધ (Wheat Export Ban)મૂક્યા બાદ કેન્દ્ર સરકારે ઘઉં ઉત્પાદક રાજ્યોમાં તેની ખરીદીની તારીખ લંબાવી છે. હવે ખેડૂતો 15 જૂન સુધી મંડીઓમાં લઘુત્તમ ટેકાના ભાવે(MSP)ઘઉંનું વેચાણ કરી શકશે. ઓછી સરકારી ખરીદી અને નિકાસ પ્રતિબંધ બાદ બદલાયેલી સ્થિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રવી માર્કેટિંગ સિઝન (RMS) 2022-23માં 14 મે સુધી સરકાર માત્ર 180 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી શકી છે. કારણ કે આ વખતે ખેડૂતોને ઓપન માર્કેટમાં MSPની બરાબર અથવા તેનાથી વધુ કિંમત મળી રહી છે.
જ્યારે RMS 2021-22 દરમિયાન 14 સુધીમાં 367 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. ઘઉંની ખરીદીની તારીખ લંબાવ્યા બાદ સરકારી ખરીદી વધે છે કે કેમ તે જોવું રહ્યું. નવા આદેશો અનુસાર, તેની ખરીદી કેટલાક રાજ્યોમાં 31 મે સુધી અને કેટલાકમાં 15 જૂન સુધી કરવામાં આવશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ને કેન્દ્રીય ભંડાર હેઠળ ઘઉંની ખરીદી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે.
સરકારે કહ્યું છે કે ખરીદીની મુદત લંબાવવાથી ખેડૂતોને ફાયદો થવાની અપેક્ષા છે. ખેડૂતો કહે છે સત્ય એ છે કે જ્યારે બજારની બહાર સારો ભાવ મળી રહ્યો છે, ત્યારે ખેડૂત શા માટે સરકારને અનાજ વેચવા જશે, તે પણ જ્યારે વેચાણ માટે નોંધણીની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
શું કહે છે કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે કહ્યું છે કે વર્તમાન સીઝન એટલે કે 2022-23 દરમિયાન કેન્દ્રીય પૂલ હેઠળ ઘઉંની ખરીદી અગાઉની રવી માર્કેટિંગ સીઝન 2021-22ની સરખામણીમાં ઓછી રહી છે. તેનું મુખ્ય કારણ લઘુત્તમ ટેકાના ભાવ (MSP)કરતા વધુ બજાર ભાવ છે, જેના કારણે ખેડૂતો ખાનગી વેપારીઓને ઘઉં વેચી રહ્યા છે.
અગાઉ, 13 મેના રોજ, કેન્દ્ર સરકારે ઘઉંની વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 16.83 લાખ ખેડૂતોને MSP તરીકે 36,208 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
ક્યાં કેટલી થશે ખરીદી
ઘઉંની સૌથી વધુ સરકારી ખરીદી પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશમાં કરવામાં આવી છે. પંજાબમાં 94.69 લાખ મેટ્રિક ટન, હરિયાણામાં 40.72 અને મધ્ય પ્રદેશમાં 40.35 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે.
પરંતુ ઘઉંના સૌથી મોટા ઉત્પાદક ઉત્તર પ્રદેશમાં 10 મે સુધી માત્ર 2.15 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. જ્યારે અહીં 60 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. બિહાર, રાજસ્થાન અને ઉત્તરાખંડના ખેડૂતોએ નહિવત ઘઉં વેચ્યા છે.