Vadodara : વિવાદાસ્પદ આર્ટવર્ક બનાવનાર કુંદન યાદવની હકાલપટ્ટી, એમ.એસ.યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં લેવાયો નિર્ણય
હિંદુ દેવી-દેવતાના અપમાનજનક આર્ટવર્ક બનાવનારા વિદ્યાર્થી કુંદન યાદવ સામે ગઇકાલે સયાજીગંજ પોલીસ સ્ટેશને (Sayajiganj police station) ફરિયાદ નોંધવામાં આવી હતી. હવે MSUમાંથી તેને રસ્ટીકેટ કરવાનો નિર્ણય સિન્ડીકેટ બેઠકમાં લેવાયો છે.
વડોદરાની (Vadodara) M.S. યુનિવર્સિટીની (MS University) ફાઈન આર્ટ ફેકલ્ટીમાં (Faculty of Fine Arts) દેવી-દેવતાના અપમાનજનક આર્ટવર્ક બનાવવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. વિવાદાસ્પદ આર્ટવર્ક બનાવનાર ફાઇન આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થી કુંદન યાદવ સામે ગઇકાલે ગુનો નોંધાયા બાદ હવે હકાલપટ્ટી કરવામાં આવી છે. ભારે વિવાદને લઇ યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠક મળી હતી. જેમાં કુંદન યાદવને ફાઇન આર્ટસ ફેકલ્ટીમાંથી રસ્ટીકેટ કરવાનો નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડિન સહિત જવાબદારોને યુનિવર્સિટી દ્વારા શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
M.S. યુનિવર્સિટીની ફાઈન આર્ટ ફેકલ્ટીના વિવાદમાં અત્યાર સુધીમાં ત્રણ અલગ અલગ ગુના નોંધાયા છે. હિંદુ દેવી-દેવતાના અપમાનજનક આર્ટવર્ક બનાવનારા વિદ્યાર્થી કુંદન યાદવ સામે ગઇકાલે સયાજીગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી હતી. હવે MSUમાંથી તેને રસ્ટીકેટ કરવાનો નિર્ણય સિન્ડીકેટ બેઠકમાં લેવાયો છે. તો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે કહ્યું કે ફોટા કેવી રીતે વાયરલ થયા તે અંગે તપાસ કરવામાં આવશે. સાથે જ કહ્યું કે કોડ ઓફ કન્ડકટ માટે એક વિશેષ કમિટીની ટૂંક સમયમાં રચના કરવામાં આવશે..શો કોઝ નોટિસનો જવાબ આપશે પછી તમામ સામે કાર્યવાહી કરાશે.
મહત્વનું છે કે 7 મે શનિવારના રોજ સાંજે આર્ટવર્કના નામે હિન્દુ દેવી-દેવતાના અપમાનનો મુદ્દે ABVPના કાર્યકરો, વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીની હેડ ઓફિસમાં ન્યાયની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ તપાસ રિપોર્ટ જાહેર કરવા ધરણા કર્યા હતા. તેમણે એમ.એસ.યુનિવર્સિટીને બીજી JNU નહીં બનવા દઇએ તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ABVPના કાર્યકરોએ માગ કરી હતી કે જ્યાં સુધી કમિટીએ શું તપાસ કરી એ વિશે નહીં જણાવાય ત્યાં સુધી અહીંથી નહીં જઇએ. સાથે સૂતળી બોમ્બ ફોડીને વિરોધ યથાવત્ રાખ્યો હતો. જેથી ફરી એકવાર યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પોલીસનો મોટો કાફલો આવ્યો હતો અને ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓને કેમ્પસ છોડી બહાર નિકળવા કહ્યું હતું. જોકે વિદ્યાર્થીઓ પોતાની માગણી અડગ રહેતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ફરી એકવાર ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થીઓને પોલીસ ગાડીઓમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.
તો બીજીતરફ 5 મેના રોજ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં હોબાળો થતાં સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. આ દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ શાંતિ જાળવવા અને ટોળાને વિખેરાઇ જવા સૂચનો આપ્યા હતા. તે સમયે કાર્તિક જોષી અને ધ્રુવ હર્ષદ પારેખ નામના શખ્સોએ તમે કોણ છો કહીને પોલીસને લાફા ઝીંકી દીધા હતા. આ મામલે આજે ગઈકાલે પોલીસકર્મીએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બિભત્સ ચિત્રોના મામલે ફાઈન આર્ટસ ફેકલ્ટી પહેલા પણ વિવાદમાં આવી હતી. 2006, 2008, 2017, 2018માં ફાઈન આર્ટસ ફેકલ્ટી વિવાદમા આવી હતી. ત્યારે હવે સમગ્ર મામલે સત્ય શોધક સમિતિએ તપાસ શરૂ કરી છે. જે અંતર્ગત સત્ય શોધક સમિતિએ ફાઈન આર્ટ્સ ફેકલ્ટીની મુલાકાત લીધી. કમિટીએ પોસ્ટર્સની પણ તપાસ કરી. તપાસ દરમિયાન કમિટીએ વિવિધ ફેકલ્ટીના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ફરિયાદીની પણ પૂછપરછ કરી છે. આ અંગે કમિટીના કન્વીનરે જણાવ્યું કે તપાસ થયા બાદ તેનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપવામાં આવશે.