Stone Killer: 70 દિવસ અને 1,200 પોલીસ જવાનોના ઓપરેશન બાદ આખરે સ્ટોનકિલર પોલીસના હાથે પકડાયો, જાણો આગળની કહાની
તત્કાલિન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતના કહેવા પ્રમાણે જ્યારે પોલીસે હિતેષ રામાવતને પકડ્યો ત્યારે તે ગભરાય ગયો હતો. થોડા સમય માટે તે સ્તબ્ધ થઇ ગયો હતો
છેલ્લા 70 દિવસથી રાજકોટ પોલીસના નાકે દમ આવી ગયો હતો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ પણ આ કેસમાં મથામણ કરી રહી હતી પરંતુ કોઇ નક્કર કડી મળી રહી ન હતી. સીસીટીવી ફુટેજથી સ્ટોનકિલર હિતેષ છે તેવી પોલીસને ખબર પડી ગઇ હતી. હિતેષ જે પણ વ્યક્તિની હત્યા કરતો હતો તેના મોબાઇલ ફોન લૂંટી લેતો હતો, એક દિવસે હિતેષે એક ભૂલ કરી અને તે પકડાય ગયો. પોલીસ જે વ્યક્તિઓને હિતેષે પોતાના શિકાર બનાવ્યા હતા તેના લોકેશન અને ફોન પર સતત મોનીટરીંગ કરતા હતા.
જેથી લૂંટાયેલો એક ફોન હિતેષે શરૂ કરતા તે ફસાય ગયો અને પોલીસને જામનગરના બેડેશ્વર વિસ્તારમાં હોવાનું લોકેશન મળ્યું હતુ જો કે કઈ રીતે આ શખ્સને ઓળખવો, કઇ રીતે તેને પકડવો તે એક પડકાર હતો તેથી પોલીસે ત્યાંનો સ્થાનિકોનો ડ્રેસ ધારણ કર્યો.
આ વિસ્તારમાં એક મંદિર આવેલું હતું પોલીસ મંદિરના પુજારી બન્યા તો કેટલાક પોલીસ મજૂર, મુસ્લિમ અને ત્યાંના સ્થાનિક લોકો જેવા પહેરવેશ ધારણ કરવા લાગ્યા. જે પણ શંકાસ્પદ લોકેશન હતા ત્યાં પોલીસે વોચ ગોઠવી હતી અને જેવો સ્ટોનકિલર પોતે જે ઓરડીમાં રહેતો હતો ત્યાંથી બહાર નીકળ્યો, સીસીટીવીમાં હિતેષની ચાલવાની સ્ટાઇલ અને અહીં ઓરડીમાંથી બહાર નીકળતી વખતે ચાલવાની સ્ટાઈલને પોલીસ ઓળખી ગઇ અને તેને પકડી પાડ્યો હતો.
શાપરની હત્યા પોતે ન કરી હોવાની પહેલી કબુલાત આપી
તત્કાલિન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતના કહેવા પ્રમાણે જ્યારે પોલીસે હિતેષ રામાવતને પકડ્યો ત્યારે તે ગભરાય ગયો હતો. થોડા સમય માટે તે સ્તબ્ધ થઇ ગયો હતો. તેને પોલીસને પહેલી કબુલાત આપી હતી કે શાપરમાં થયેલી હત્યા તેણે કરી નથી. તેણે માત્ર ત્રણ હત્યા અને એક હત્યાવની કોશિશ કરી છે. હત્યાની વારદાતને અંજામ આપ્યા બાદ પોતાના કારનામાં હિતેષ અખબારોમાં અને ટીવીમાં જોતો હતો.
જ્યારે શાપરમાં હત્યા થઇ ત્યારે તે ગભરાય ગયો હતો અને આ હત્યા પણ તેની સાથે જોડવામાં આવતા તે ચિંતામાં મૂકાયો હતો. થોડા દિવસ તે ઘરની બહાર પણ નીકળ્યો ન હતો. મોટાભાગે મંગળવારે અથવા તો શનિવારે આ શખ્સ પોતાના ઘરની બહાર નીકળતો હતો જેથી વધુ એક શિકારની શોઘમાં નીકળતાની સાથે જ તે પોલીસના હાથે લાગી ગયો હતો.
સમલૈંગિક સબંધો ધરાવતી વ્યક્તિને બનાવતો શિકાર
હિતેષ રામાવત આમ તો જામનગરમાં રહેતો હતો પરંતુ તેના વિકૃત સ્વભાવને કારણે તેને એક પછી એક ત્રણ હત્યાને અંજામ આપ્યો. પોલીસના હાથે આવ્યા બાદ હિતેષે પોતે કરેલા કારનામાંનો પર્દાફાશ કર્યો અને પોલીસ પાસે પોતાની ક્રાઇમ કુંડળી ખોલી નાખી હતી. હિતેષે સમલૈંગિક સબંધો ધરાવતી વ્યક્તિઓને શિકાર બનાવવાનું મનોમન નક્કી કર્યું હતુ.
પહેલા તે રાજકોટ જ રહેતો હોવાથી એ વાત સારી રીતે જાણતો હતો કે સમલૈંગિક સબંધોમાં રસ ધરાવતી વ્યક્તિ તેને રાજકોટના ત્રિકોણબાગ વિસ્તારમાં મળી રહેશે જેથી તે ટ્રેનમાંથી ઉતરીને સીધો રાજકોટના ત્રિકોણ બાગ વિસ્તારમાં આવ્યો અને ત્યાં તેને સાગર મેવાડાનો સંપર્ક થયો તેની સાથે વાતચીત કરીને સાગર પણ તેની સાથે સબંધો બાંધવા તૈયાર થઇ ગયો અને પછી બંન્ને ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તાર કે અવાવરૂ હતો ત્યાં ગયો.
રાતના અંધારામાં હિતેષે સાગરને ઉંધો સૂઇ જવા કહ્યું અને હિતેષે તેને ઉંધો સુવડાવીને ખબર ન પડે તે રીતે માથાના ભાગે પથ્થરના ધા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવને અંજામ આપ્યા બાદ તે ટ્રેન મારફતે જામનગર પહોંચી ગયો હતો અને બાદમાં 23 મે 2016 એટલે કે પહેલી હત્યા કર્યાના 23 દિવસ બાદ તે ફરી રાજકોટ આવ્યો હતો આ વખતે તે સમલૈંગિક સબંધ ધરાવતી વ્યક્તિની શોઘમાં હતો તેને અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની પ્રકૃતિવાળા લોકોની તપાસ કરી પરંતુ તેને કોઇ મળ્યું નહિ.
છેવટે તે રીક્ષામાં શિકારની શોધમાં ફરતો હતો પરંતુ તેના હાથે કોઇ ન લાગ્યું, પરંતુ તેના વિકૃત સ્વભાવને તે રોકી ન શક્યો અને તેને રીક્ષાચાલક પ્રવીણ બારડ નામના વ્યક્તિની માથાના ભાગે પથ્થર મારીને હત્યા કરી નાખી અને ફરી તે જામનગર નાસી ગયો. પોતાને સમલૈંગિક વ્યક્તિ સાથે ભેટો ન થયો તેથી હિતેષ અકળાય ગયો હતો અને તેનાથી રહેવાયું નહિ તેથી ફરી તે 26મી મેના રોજ શિકારની શોધમાં રાજકોટ આવ્યો.
આ વખતે તેને ગોંડલ રોડ પર જયેશ નામના વ્યક્તિ સાથે પરીચય થયો. જયેશે સમલૈંગિક સબંધોમાં રસ દાખવતા તેને લઇને કાલાવડ રોડ પર અવાવરૂ સ્થળે ગયો અને ત્યાં જયેશની હત્યા કરવાની કોશિશ કરી પરંતુ જયેશ ત્યાંથી બચીને ભાગી ગયો જો કે હિતેષ પાસે તેના મોબાઇલ નંબર હોવાથી તેને અવારનવાર ઘમકી આપતો હતો પરંતુ આ વાત જયેશ પોલીસને કહિ શક્યો નથી. તે વખતના એસઓજીના પીઆઇ ડી.વી.બસિયાએ જયેશની ઉલટ તપાસ કરી પરંતુ જયેશ મગનું નામ મરી પાડવા માટે તૈયાર જ ન હતો. બાદમાં 2 જૂને ફરી રેલવે મારફતે જામનગરથી આવ્યો અને તેને આ જ મોડસ ઓપરેન્ડીથી વલ્લભ રાણીંગા નામના વ્યક્તિને પોતાની જાળમાં ફસાવીને તેની હત્યા કરી નાખી હતી.
પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે હત્યા કર્યા બાદ તે અખબારોમાં અને ટીવીના માધ્યમથી નજર રાખતો હતો. એક હત્યાથી બીજી હત્યાનું અંતર હોવાને કારણે અને મોટાભાગે રાત્રીના સમયે આ વારદાતને અંજામ આપતો હોવાથી તેની પ્રત્યક્ષદર્શી પણ મળવા મુશ્કેલ બન્યા હતા જો કે એક સીસીટીવી અને મોબાઇલ લોકેશન મહત્વના સાબિત થયા અને હિતેષ પોલીસના હાથે પકડાય ગયો.
બાતમીદારોનું નેટવર્ક, ટેક્નોલોજીનો ઉપયોગ અને હિંમતથી પોલીસે હિતેષને પકડી તો લીધો પરંતુ પોલીસને પણ એ સવાલ ઉભો થઇ રહ્યો હતો શા માટે હિતેષ રામાવત બન્યો સ્ટોનકિલર. શા માટે હિતેષ સમલૈંગિક સબંધો ધરાવતી વ્યક્તિઓને શિકાર બનાવવા લાગ્યો, આટલી આટલી હત્યા કરવા પાછળ તેનો ઇરાદો શું હતો, અને હિતેષે પણ આ સવાલોને જવાબ આપ્યા, શું હતા હિતેષના જવાબો વાંચો આવતી કાલના અંકમાં આ ખાસ સિરીઝ સ્ટોનકિલર-સમલૈગિંક સબંધોથી હત્યા સુધીની કહાનીમાં.
આગળના ભાગ વાંચવા આ લીંક પર ક્લિક કરો:
ભાગ-1: Stone Killer: સમલૈંગિક સંબંધથી લઇને હત્યા સુધીની સ્ટોન કીલરની સંપૂર્ણ કહાની