હત્યાના સાક્ષી બહાદુર પિતા-પુત્રીની મદદથી પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો, જાણો શું છે સમગ્ર મામલો
જયંતિએ દિનેશની હત્યા કરી ત્યારે ત્યાં મહેન્દ્રગીરી ગોસ્વામી નામના એક વ્યક્તિ તેની દિકરી સાથે ત્યાંથી પસાર થઇ રહ્યા હતા અને તેઓએ હત્યાની આ ઘટનાને નજરે જોઇ હતી.
રાજકોટ શહેરમાં હત્યાના સાક્ષી પિતા-પુત્રીની મદદથી પોલીસે હત્યારા આરોપીને ઝડપી પાડ્યો છે. ગત શનિવાર તારીખ 4 સપ્ટેમ્બરના રોજ 150 ફુટ રિંગરોડ પર પર્લ હોસ્પિટલ નજીક દિનેશ સરચાણી નામના વ્યક્તિની થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ માટે પોલીસે જયંતિ ઉર્ફે નટુ જોટાણીયા નામના વ્યક્તિની ઘરપકડ કરી છે.
પથ્થર વડે ફૂટપાથ પર સુતેલા પુરુષની હત્યા સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગત શનિવારના રોજ દિનેશભાઇ ફુટપાથ પર સૂતા હતા ત્યારે જયંતિએ પથ્થર વડે દિનેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો.જયંતિએ દિનેશની હત્યા કરી ત્યારે ત્યાં મહેન્દ્રગીરી ગોસ્વામી નામના એક વ્યક્તિ તેની દિકરી સાથે ત્યાંથી પસાર થઇ રહ્યા હતા અને તેઓએ હત્યાની આ ઘટનાને નજરે જોઇ હતી. હત્યા કર્યા બાદ દિનેશ ફરાર થાય તે પહેલા જ ત્યાં રહેલા મહેન્દ્રગીરી ગોસ્વામીએ જયંતિને પકડી પાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે જયંતિને પકડી પાડ્યો હતો.પોલીસના હાથે આવ્યા બાદ જયંતિએ પોતે હત્યા કર્યાની કબુલાત કરી હતી.
હત્યા નજરે જોનારા મહેન્દ્રગીરીની પુત્રીએ કહ્યુ, “પપ્પા આને પકડો” આ અંગે નજરે જોનાર મહેન્દ્રગીરી ગોસ્વામીએ પોલીસને કહ્યું હતુ કે પોતે તેની દિકરી સાથે ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે ત્યાં આ ઘટના બની હતી. તે સમયે અફરાતફરીનો માહોલ હતો. જો કે હત્યા કરીને જયંતિ ફરાર થઇ રહ્યો હતો ત્યારે તેની દિકરીએ આરોપીને પકડવા માટે કહ્યું હતુ.પાસે રહેલા એક વોર્ડનને સાથે રાખીને મહેન્દ્રગિર આરોપી જયંતિને પકડવા માટે દોડ્યા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને તેને પકડી પાડવામાં આવ્યો હતો.પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે મહેન્દ્રગિરીની બહાદુરીને બિરદાવી હતી અને તેનું સન્માન કર્યું હતું.
જયંતિએ શા માટે કરી હતી હત્યા ? રાજકોટ શહેર ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાના કહેવા પ્રમાણે જયંતિ ભટકતું જીવન જીવતો વ્યક્તિ છે.ગત શનિવારના રોજ દિનેશભાઇ જે ફુટપાથ પર સૂતા હતા તે જ રસ્તા પરથી જયંતિ નીકળ્યો હતો.દરમિયાન દિનેશભાઇ સૂતા હતા જેના કારણે જયંતિને ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી.આથી જયંતિ અને દિનેશ વચ્ચે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખીને જયંતિએ દિનેશને પથ્થરના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.પોલીસના કહેવા પ્રમાણે હત્યા કર્યા બાદ જયંતિને કોઇપણ પ્રકારનો અફસોસ ન હતો, ઉલટાનું પોલીસના હાથે આવ્યા બાદ તેને નફ્ફટાઈથી તેવું કહ્યું હતુ કે આ હવે નહિ બચે.
પકડાયા બાદ માનસિક રોગી હોવાનું નાટક કર્યું પોલીસના હાથે આવ્યા બાદ જયંતિએ પોતે માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું વર્તણુંક કર્યુ હતુ અને પોતાની માનસિક બિમારીને કારણે આ પગલું ભર્યું હોવાનું નાટક કર્યું હતુ.જો કે પોલીસના કહેવા પ્રમાણે હજુ સુધી આ વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોવાના કોઇ પુરાવા નથી મળ્યા.હત્યા પાછળ સામાન્ય બોલાચાલી જ કારણભુત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ત્યારે હાલ તો પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે.