Navsari : ભાજપ કાર્યકરની હત્યાનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીની ધરપકડ
નવસારીના ઘેલખડી વિસ્તારના હત્યા કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જયારે બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
Navsari : નવસારીના ઘેલખડી વિસ્તારના હત્યા કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જયારે બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. રવિવારે રાત્રિના સમય દરમિયાન ભાજપના કાર્યકર એવા શૈલેષ પરમારની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ત્યારે પોલીસે આ કેસના ચાર આરોપીની ધરપકડ કરી હત્યા કેસના તાર ઉકેલવાનું શરૂ કર્યું છે.
શું છે હત્યાનો કેસ ?
નવસારીના ઘેલખડી વિસ્તારમાં રાત્રીના સમયે એક યુવક ઉપર જૂની અદાવતને લઈ તિક્ષણ હથિયારો વડે છ જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો. જેમાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.કરપીણ હત્યા બાદ ફરાર આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આખરે પોલીસને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા હાથ લાગી છે. જોકે, આ હત્યા કેસના હજુ બે આરોપી ફરાર છે. જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
શું છે સમગ્ર કેસ ?
નવસારીના ઘેલખડી વિસ્તારમાં રહેતા શૈલેષ પરમાર નામનો યુવક તેના માસાની ઘરેથી બહાર નીકળ્યો હતો. ત્યારે રાતના સમયે ઘેલખડી વિસ્તારમાં જૂની અદાવતને લઈ છ જેટલા ઈસમોએ પાછળથી આવી ધારીયા અને ચપ્પુ જેવા તિક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં શૈલેષ પરમાર ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
મૃતક શૈલેષ પરમાર ભાજપનો સક્રિય કાર્યકર્તા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ઘટનાને પગલે પોલીસે મૃતકની લાશનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં હુમલો કરનારા છ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અંતર્ગત ૪ જેટલા આરોપી સુનિલ પ્રકાશ જાધવ, ઉમેશ સત્યનારાયણ વનમ, પિયુષ ઠાકોર અને અજિત મિશ્રા અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યાનું કારણ જુની અદાવત
શૈલેષ પરમારની હત્યા પાછળનું કારણ ગત ૨૦૧૭ ના વર્ષમાં ગરબા કાર્યક્રમને લઈ શૈલેષ પરમારનો ઝઘડો થયો હતો. જેમાં હુમલાખોરોમાંથી એક ઉમેશ વનમના ભાઈનું મોત થયું હતું. જે અદાવતને લઈ શૈલેષ પરમાર પર હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું. આમ આ કેસમાં ખૂન કા બદલા ખૂનનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે પોલીસે આ કેસના બે ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.