દિવાળીમાં મીઠાઇ ખાતા પહેલા ચેતી જજો, મહેસાણામાં નકલી માવાનો પર્દાફાશ
નકલી માવાની મીઠાઈ ખાવાથી હોજરીમાં સોજો, પેટમાં દુખાવો, ઝાડા-ઊલટી અને તેમજ સિન્થેટિક કલરની માત્રા વધુ હોવાથી ચામડી પર લાલ ચકામાં અને કિડનીને અસર થઈ શકે છે.
દિવાળીના તહેવારમાં મીઠાઈના શોખીનો થઈ જજો સાવધાન. તહેવારોમાં જે મીઠાઈ આપ માવાની સમજીને ખાઈ રહ્યા છો, બની શકે છે કે તેમાં માવો નહીં પણ પામોલીન, વનસ્પતિ ઘી હોય. મીઠાઈના શોખીનો માટે ચેતવતો કિસ્સો મહેસાણામાંથી સામે આવ્યો છે. જ્યાં વેપારીઓ માવામાં સોજી, વનસ્પતિ ઘી અને પાવડરનો ઉપયોગ કરે છે. સોજી, વનસ્પતિ ઘી અને અન્ય પદાર્થ ઉમેરી માવો તૈયાર કરાય છે. નકલી માવો પકડાય નહિ તે માટે વિશ્વાસુ વ્યકિત દ્વારા જે તે વિસ્તારના વેપારીના ઓર્ડર મુજબ ૩૦થી ૫૦ કિલોનો નકલી માવાનો જથ્થો સપ્લાય કરાય છે. નકલી માવા અંગે કેટલાક વેપારીઓ જાણવા છતાં વધુ નફો કમાવાની લાલચમાં આંખ આડા કાન કરે છે. નકલી માવાની મીઠાઈ આરોગવી સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે.
રાજ્યમાં ડીસા, પાલનપુર, કડી, મહેસાણા ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનનાં શહેરોમાંથી મીઠાઇ તૈયાર કરતા વેપારીઓને ત્યાં ઠલવાતો માવામાં સસ્તા ભાવનું પામોલીન કર્નલ,વનસ્પતિ ઘી અને અન્ય પદાર્થોની ભેળસેળ હોઇ શકે છે.ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મહેસાણામાં મોટાભાગના માવો તૈયાર કરતા વેપારીઓ દ્વારા માવામાં સોજી,વનસ્પતિ ઘી,અને પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. નકલી માવાની મીઠાઈ ખાવાથી હોજરીમાં સોજો, પેટમાં દુખાવો, ઝાડા-ઊલટી અને તેમજ સિન્થેટિક કલરની માત્રા વધુ હોવાથી ચામડી પર લાલ ચકામાં અને કિડનીને અસર થઈ શકે છે.જો કે માવો બનાવતા વેપારીઓએ કાયદાથી બચવા માવા ને લુઝ મીઠાઈ નામ આપીને વેચાણ કરવામાં આવે છે.આ લુઝ મીઠાઈ નો ઉપયોગ માવાની મીઠાઈ બનાવવા માટે થાય છે.