પતિ સાથે ઝઘડો થયો તો પોતાના જ બાળકોને કૂવામાં ફેંકી દીધા, બાદમાં કૂવા પાસે બેસી આખી રાત રડતી રહી મહિલા
પતિ સાથેના ઝગડાથી ગુસ્સે થઈને મહિલાએ પોતાના બન્ને બાળકો સાથે ઘરની બહાર નીકળી ગઈ હતી. ત્યારબાદ તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.
ઓડિશાના કંધમલ જિલ્લાની એક ઘટના પ્રકાશમાં આવી છે. જે કોઈને પણ આશ્ચર્યચકિત કરી શકે છે. કંધમલમાં રહેતી મહિલાએ એવું પગલું ભર્યું હતું કે જેના વિશે કોઈ મહિલા વિચારી પણ ન શકે. કંધમાલમાં એક મહિલાએ તેના પતિ સાથે ઝઘડો કર્યા બાદ તેના બંને બાળકોને કૂવામાં ધકેલી દીધા હતા. બંને બાળકોમાં પુત્રીની ઉંમર 9 વર્ષની હતી જ્યારે પુત્રની ઉંમર 5 વર્ષની હતી. કૂવામાં ડૂબી જવાથી બંને બાળકોનું મોત નીપજ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર મહિલાએ ઘરેલું વિવાદમાં પતિ સાથે ઝઘડો કર્યા બાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો. કંધમાલ જિલ્લાના પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભાગ્યલક્ષ્મી પાત્રા તેના પતિ એમ રાજેશ પાત્રા સાથેના ઝગડા બાદ શુક્રવારે બપોરે બે બાળકો સાથે ઘરની બહાર નીકળી ગઈ હતી.
પોલીસ મથકના ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, મહિલાએ તેના બંને બાળકોને કૂવામાં ધકેલી દીધા હતા, જેના કારણે બંને બાળકોનું મોત નીપજ્યું હતું. જોકે મહિલા પોતે કૂવામાં કૂદી ન હતી. પરંતુ તેના પતિ અને ગ્રામજનોએ શનિવારે સવારે કુવા નજીક મહિલાને રડતી જોઈ હતી. સખત મહેનત બાદ ફાયર બ્રિગેડના જવાનોની મદદથી કૂવામાંથી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
હાલ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જોકે તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. પોલીસે જણાવ્યું હતું કે, તેની સામે હત્યાનો કેસ નોંધવામાં આવશે અને તેની ધરપકડ કરવામાં આવશે. બીજી તરફ મહિલાના ભાઈએ પતિ પર લગ્નેતર સંબંધો હોવાનો આરોપ લગાવ્યો છે.