ચીન કોરોનાના કેસના આંકડામાં ગરબડ કરે છે, મૃત્યુઆંક છુપાવે છે : WHO
ચીનમાં કોવિડના વધતા જતા સંક્રમણને કારણે ભારત સહિત વિશ્વના ઘણાબધા દેશોએ ચીનથી આવતા પ્રવાસીઓ પર નિયંત્રણ કે પ્રતિબંધ લગાવી દીધા છે. બેઇજિંગે આ પગલાને રાજકીય રીતે પ્રેરિત ગણાવી ટીકા કરી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને બુધવારે જણાવ્યું હતું કે, ચીન COVID-19 રોગચાળા વિશે વધુ માહિતી વિશ્વને આપી રહ્યું હોવા છતાં, તે હજી પણ મૃત્યુની સંખ્યાને ઓછી નોંધી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કોવિડ-19 ટેકનિકલ હેડ, મારિયા વાન કેરખોવે જણાવ્યું હતું કે, ચીન તરફથી આવતી માહિતીમાં ગરબડ છે. અમે આંકડાઓની માયાજાળને દૂર કરવા માટે ચીન સાથે કોરોનાને લઈને કામ કરી રહ્યા છીએ. નોંધપાત્ર રીતે, ગયા વર્ષે ડિસેમ્બરમાં શૂન્ય-કોવિડ નીતિના અંત પછી, ચીનમાં COVID-19 સંક્રમણ વધ્યુ છે. જો કે ચીન એ વાતનો ઇનકાર કરી રહ્યું છે કે તે કોવિડના મૃત્યુના આંકડા છુપાવી રહ્યું છે. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા સહિત વિશ્વભરના નિષ્ણાતોનું માનવું છે કે, ચીન જાણીજોઈને કોરોનાથી થયેલા મૃત્યુના આંકડાઓને ઓછો જણાવી રહ્યું છે.
ચીનના પ્રવાસીઓ પર નિયંત્રણોને રાજકીય ગણાવ્યા
ચીનમાં કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે ભારત સહિત ઘણા દેશોએ ચીનથી આવતા પ્રવાસીઓ પર નિયંત્રણો- પ્રતિબંધ લગાવી દીધા છે. બેઇજિંગે આ પગલાને રાજકીય રીતે પ્રેરિત ગણાવી ટીકા કરી છે. કોવિડના કેસોમાં વધારો થયો હોવા છતાં, ચીનમાં કોરોનાનો કોઈ નવા વેરીએન્ટનો પ્રકાર મળ્યો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, આ પરીક્ષણના અભાવને કારણે છે. જો ચીન તેના કોરોનાના દર્દીઓની વૈજ્ઞાનિક રીતે તપાસ કરે તો સંભવ છે કે કોરોનાના નવો વેરિએન્ટ સામે આવે.
ચીને કોરોનાથી મૃત્યુ અંગેના માપદંડમાં ફેરફાર કર્યો
લગભગ એક મહિના પહેલા ચીનમાં ઝીરો કોવિડ પોલિસી નાબૂદ કરવામાં આવી હતી. આના કારણે અહીં કોરોનાના કેસોમાં ઝડપી ઉછાળો આવ્યો હતો. અહેવાલો અનુસાર હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવા માટે જગ્યાનો અભાવ વર્તાયો હતો. એ જ રીતે સ્મશાનભૂમિની પણ હાલત એવી હતી. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહને રાખવા માટે શબઘરમાં જગ્યા નહોતી તો બીજી બાજુ મૃતદેહનો નિકાલ કરવા માટે સ્મશાનમાં લાબી લાઈન લાગતી હતી. ડિસેમ્બરમાં, ચીને કોવિડથી થયેલા મૃત્યુને ચિહ્નિત કરવાના માપદંડમાં ફેરફાર કર્યો. સત્તાવાર આંકડાઓ અનુસાર આનાથી કોવિડથી મૃત્યુઆંક નોંધપાત્ર રીતે ઘટ્યો છે.