કોરોનાની ઝડપ વધ્યા બાદ ચીનમાં ફરી થઈ શકે છે લોકડાઉન, આજે 14,878 નવા કેસ
ચીન હજુ પણ કોરોના (corona)વાયરસમાંથી બહાર આવી શક્યું નથી. થોડા અઠવાડિયા પહેલા થોડી રાહત બાદ ફરી એકવાર કેસ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે તમામ નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે.
ચીનમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. અહીં આજે 14,878 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જેમાંથી 1,711 દર્દીઓ લક્ષણો બતાવી રહ્યા હતા અને 13,167 દર્દીઓ એસિમ્પટમેટિક (લક્ષણો વિના) હતા. આના એક દિવસ પહેલા 11,950 નવા કેસ નોંધાયા હતા. અહીં કોરોનાથી કોઈ નવું મૃત્યુ થયું નથી. રાજધાની બેઇજિંગમાં 235 નવા કેસ નોંધાયા હતા જ્યારે એક દિવસ પહેલા 116 કેસ નોંધાયા હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
ચીનમાં કોરોનાના કેસમાં ઝડપી ઉછાળો નોંધાયો છે. બેઇજિંગમાં નોંધાયેલા 235 નવા કેસોમાં પણ 161 દર્દીઓમાં લક્ષણો જોવા મળ્યા હતા જ્યારે 74 કેસમાં કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા. તપાસ બાદ જ તેમનામાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. લગભગ 13 મિલિયનની વસ્તી ધરાવતા ગુઆંગઝુના દક્ષિણ મહાનગરે એક દિવસ અગાઉ કેટલાક જિલ્લાઓને લોકડાઉનમાંથી મુક્તિ આપી હતી. આ અઠવાડિયે કોરોના નિયમોમાં રાહત આપતા ચીનની સરકારે બહારથી ચીન આવતા પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઈન સાત દિવસથી ઘટાડીને પાંચ દિવસ કરી દીધું છે.
ચીનમાં નવા પ્રતિબંધો શરૂ થયા
નવા કેસ આવ્યા બાદ ગુઆંગઝુથી બેઇજિંગ અને અન્ય મોટા શહેરોની ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. જે લોકો સુપરમાર્કેટ, ઓફિસ અને અન્ય જાહેર વિસ્તારોમાં પ્રવેશવા માગે છે તેમણે દિવસમાં એક વખત નેગેટિવ કોરોના રિપોર્ટ લાવવાનો રહેશે. ચોંગકિંગે તેના બેબેઇ જિલ્લામાં શાળાઓ બંધ કરી દીધી. અહીં 840,000 લોકો રહે છે. અહીં લોકોને તેમના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળતા અટકાવવામાં આવ્યા છે. મધ્ય શહેર ઝેંગઝોઉમાં કુલ 6.6 મિલિયન લોકો સાથે આઠ જિલ્લાઓમાં સામૂહિક પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું હતું.
ચીનમાં ‘ઝીરો કોવિડ’ નીતિથી લોકો પરેશાન
ગયા અઠવાડિયે ચીનમાં કોવિડ-19ના કેસમાં થયેલો વધારો શૂન્ય કોવિડ વ્યૂહરચના સામે પડકાર ઊભો કરી રહ્યો છે. જે અંતર્ગત દરેક સંક્રમિત વ્યક્તિને ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રાખવા પડશે. જો કે, કમ્યુનિસ્ટ પાર્ટીએ કહ્યું કે તે શૂન્ય કોવિડ નીતિને વળગી રહેશે. નેશનલ હેલ્થ કમિશન અનુસાર, 1.3 કરોડની વસ્તીવાળા શહેર ગુઆંગઝૂમાં કોવિડ-19ના 3,775 કેસ નોંધાયા છે, જેમાં 2,996 એવા કેસ છે જેમાં કોઈ લક્ષણો નથી. ગુઆંગઝુના હૈઝુ જિલ્લામાં, લોકોને નજીકના પરીક્ષણ સ્થળ પર જવા અથવા ઘરે રહેવા માટે કહેવામાં આવ્યું હતું જેથી કરીને તેઓનું COVID-19 માટે પરીક્ષણ થઈ શકે. આ જાહેરાત જિલ્લા સ્તરના અધિકારીઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી હતી. દરેક ઘરના એક સભ્યને ખાદ્યપદાર્થો ખરીદવાની છૂટ આપવામાં આવી છે.