કોરોનાકાળ દરમ્યાન ટોચની 10 પૈકી 8 કંપનીઓએ 3 લાખ કર્મચારીઓને નોકરી આપી, વિશ્લેષણ અહેવાલમાં હકીકત સામે આવી
દેશના સૌથી મોટા સંગઠિત ક્ષેત્રના આઇટી ક્ષેત્રની કંપનીઓએ પણ બમ્પર ભરતી કરી છે. દેશની સૌથી મોટી IT કંપની Tata Consultancy Services (TCS) એ 2021-22માં 1.04 લાખ લોકોની ભરતી કરી હતી.
કોરોના(Corona) મહામારીની બીજી લહેરથી પ્રભાવિત નાણાકીય વર્ષ 2021-22માં ખાનગી કંપનીઓએ પણ બમ્પર હાયરિંગ કર્યું હતું. માર્કેટ કેપ(MCap)ની દ્રષ્ટિએ ટોચની 10 કંપનીઓમાંથી આઠ કંપનીઓએ ગયા નાણાકીય વર્ષમાં 3 લાખથી વધુ લોકોને નોકરીઓ આપી છે. ટોચની કંપનીઓના વિશ્લેષણ અહેવાલ દર્શાવે છે કે રિટેલ, આઈટી અને બેન્કિંગ સેક્ટરમાં સૌથી વધુ ભરતી થઈ છે. આ કર્મચારીઓની નિમણૂક ટાયર-2, ટાયર-3 અને ટાયર-4 શહેરો માટે કરવામાં આવી છે. વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોચની કંપનીએ 1 લાખથી વધુ નિમણૂંકો આપી છે. આ ભરતી વધુ કરવામાં આવી હતી કારણ કે કંપની છોડનારા કર્મચારીઓની સંખ્યા પણ વધુ હતી.
કઈ કંપનીઓએ ભરતી કરી ?
માર્કેટ કેપની દ્રષ્ટિએ સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ ગયા નાણાકીય વર્ષમાં સૌથી વધુ નોકરીઓ આપી હતી. રિલાયન્સે 2021-22માં 1.07 લાખ લોકોને રોજગારી આપી હતી જે અગાઉના નાણાકીય વર્ષમાં માત્ર 40,716 હતી. આ નોકરીઓ કંપનીના પેટ્રોકેમિકલ બિઝનેસની બહાર હતી. રિટેલ અને ટેક સેક્ટરે આમાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. કંપનીના રિટેલ સેક્ટરમાં કુલ 1.69 લાખ લોકોની ભરતી કરવામાં આવી છે. કંપનીએ ટિયર, 2,3,4 જેવા નાના શહેરોમાં લોકોને નોકરીની તકો પણ પૂરી પાડી છે.
આઇટી સેક્ટરમાં બમ્પર તક
દેશના સૌથી મોટા સંગઠિત ક્ષેત્રના આઇટી ક્ષેત્રની કંપનીઓએ પણ બમ્પર ભરતી કરી છે. દેશની સૌથી મોટી IT કંપની Tata Consultancy Services (TCS) એ 2021-22માં 1.04 લાખ લોકોની ભરતી કરી હતી, જ્યારે અગાઉના નાણાકીય વર્ષ (2020-21)માં 40,185 લોકોની ભરતી કરવામાં આવી હતી. એ જ રીતે, માર્કેટ કેપની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસે પણ ગયા નાણાકીય વર્ષમાં 54,396 લોકોને રોજગારી આપી હતી. કંપનીએ 2020-21માં માત્ર 17,248 લોકોની ભરતી કરી હતી.
બેન્કિંગ સેક્ટરની સ્થિતિ કેવી છે ?
ખાનગી ક્ષેત્રની કંપનીઓએ પણ બેંકિંગ અને નાણાકીય સેવાઓમાં જોબ આપી છે. HDFC બેંકે ગયા નાણાકીય વર્ષમાં 21,486 લોકોની ભરતી કરી હતી, જે અગાઉના નાણાકીય વર્ષમાં માત્ર 3,122 હતી. ICICI બેંકે પણ ગયા વર્ષે 7,094 લોકોની ભરતી કરી હતી જ્યારે 2020-21માં 389 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. બજાજ ફાઇનાન્સે ગયા વર્ષે 6,879 લોકોને નોકરી આપી હતી જ્યારે 2020-21માં 1,577 લોકોની ભરતી કરવામાં આવી હતી.
આ કંપનીઓએ હજારો લોકોને રોજગારી આપી
સૌથી વધુ રોજગાર પ્રદાન કરતી અન્ય કંપનીઓમાં FMCG ક્ષેત્રની હિન્દુસ્તાન યુનિલિવરનો સમાવેશ થાય છે, જેણે 2021-22માં 21 હજાર લોકોની ભરતી કરી હતી. કંપની છેલ્લા ત્રણ નાણાકીય વર્ષથી લગભગ સમાન સંખ્યામાં ભરતી કરી રહી છે. ટોચની 10માં અદાણી ટ્રાન્સમિશન એકમાત્ર એવી કંપની હતી જેણે પાછલા નાણાકીય વર્ષમાં નોકરી આપવાને બદલે છૂટા કરી દીધા હતા. એવિએશન સેક્ટરમાં પણ હવે સુધારો થઈ રહ્યો છે અને ગયા નાણાકીય વર્ષમાં ઈન્ડિગોએ 2,453 લોકોની ભરતી કરી હતી.