આજે અનિલ અંબાણીની નાદાર કંપની Reliance Capital નું ભાવિ નક્કી થશે, ક્યાં ગ્રુપને મળશે સુકાન?
Anil Ambani નો એક સમય એવો હતો જ્યારે તેમનું નામ ટોચના કારોબારીઓમાં બોલાતું હતું. વર્ષ 2010 પહેલા તેઓ વિશ્વના Top-10 સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ હતા અને એક સમય એવો હતો જ્યારે તેઓ વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ પણ બન્યા હતા.
રિલાયન્સ કેપિટલ માટે આજે મંગળવારનો દિવસ ઘણો મહત્વનો રહેવાનો છે. આજે 3 જાન્યુઆરી 2023 ના રોજ અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ લિમિટેડના લેણદારોની સમિતિ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ બેઠક કરશે જેમાં ટોરેન્ટ ગ્રૂપ અને હિન્દુજા ગ્રૂપની બિડ અંગે ચર્ચા કરવામાં આવશે. અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રૂપે દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની NBFC કંપની રિલાયન્સ કેપિટલને ખરીદવા માટે રૂપિયા 8,640 કરોડની બિડ કરી છે. જો ટોરેન્ટ ગ્રૂપની બિડ સ્વીકારવામાં આવશે તો ગ્રૂપની એન્ટ્રી નાણાકીય સેવા ક્ષેત્રમાં પણ થશે. ઈ-ઓક્શનમાં ટોરેન્ટ ગ્રુપે રિઝોલ્યુશન પ્લાન હેઠળ રિલાયન્સ કેપિટલ માટે રૂ. 8,640 કરોડની બિડ કરી છે જ્યારે હિન્દુજા ગ્રૂપે રૂ. 8,110 કરોડની બિડ કરી છે.
રિલાયન્સ કેપિટલ લિમિટેડની કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC) એ 21 ડિસેમ્બરે યોજાયેલી હરાજીમાં રૂ. 6,500 કરોડની ફ્લોર પ્રાઇસ નક્કી કરી હતી. ઈ-ઓક્શન સમાપ્ત થયા પછી હિન્દુજા ગ્રુપે ફરીથી જૂની બિડમાં સુધારો કરીને અને બિડની રકમ વધારીને રૂપિયા 9,000 કરોડ કરીને રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરી અને કંપનીએ 100 ટકા રોકડ ચૂકવવાની ઓફર કરી છે. બીજી તરફ ટોરેન્ટ ગ્રુપે અપફ્રન્ટ કેશ તરીકે માત્ર રૂ. 3,750 કરોડની ઓફર કરી છે જે હિન્દુજા ગ્રુપની ઓફરના 54% છે.
31 માર્ચની સમય મર્યાદા
IBC એક્ટ હેઠળ NBFC કંપની માટે રિઝોલ્યુશન પ્રક્રિયાના ભાગ રૂપે ઈ-ઓક્શનની પ્રક્રિયા અપનાવવામાં આવી હોય તેવું આ પ્રથમ વખત હતું. ઈ-ઓક્શનની પ્રક્રિયા LIC અને EPFO ની સંમતિથી કરવામાં આવી છે, જેઓ રિલાયન્સ કેપિટલના લેણદારોની સમિતિમાં 35 ટકા મતદાન અધિકાર ધરાવે છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ રિલાયન્સ કેપિટલની રિઝોલ્યુશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 31 માર્ચ 2023ની સમયમર્યાદા નક્કી કરી છે.
અનિલ અંબાણીનો કારોબાર કેમ ડૂબ્યો?
રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (RADG)ના વડા અનિલ ધીરુભાઈ અંબાણી 63 વર્ષના છે. એક સમય એવો હતો જ્યારે તેમનું નામ ટોચના કારોબારીઓમાં બોલાતું હતું. વર્ષ 2010 પહેલા તેઓ વિશ્વના Top-10 સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ હતા અને એક સમય એવો હતો જ્યારે તેઓ વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ પણ બન્યા હતા પરંતુ સમય જતાં તેની સ્થિતિ નબળી પડવા લાગી અને હવે સમય આવી ગયો છે જ્યારે તેને પોતાની કંપનીઓમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.