Rules Change From 1 October 2022 : આ નિયમોમાં ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે, ધ્યાન નહિ રાખો તો થશે મોટું નુકસાન
Rules Change From 1 October 2022 : આ ફેરફારમાં ડીમેટ ખાતાઓમાં ટૂ - ફેક્ટર ઓથેન્ટિકેશન , અટલ પેન્શન યોજના(Atal Pension Yojana), મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન, કાર્ડ ટોકનાઇઝેશન અને નાની બચત યોજનાઓ પર વ્યાજનો સમાવેશ થાય છે.
આગામી મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. સરકાર દ્વારા બદલવામાં આવેલાઘણા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ(Rules Change From 1 October 2022) થવા જઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. આ સ્થિતિમાં તમારે તે બધા નિયમો જાણવા જરૂરી છે. આ ફેરફારમાં ડીમેટ ખાતાઓમાં ટૂ – ફેક્ટર ઓથેન્ટિકેશન , અટલ પેન્શન યોજના(Atal Pension Yojana), મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન, કાર્ડ ટોકનાઇઝેશન અને નાની બચત યોજનાઓ પર વ્યાજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દર મહિનાનાય પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરવામાં આવે છે. ગેસના ભાવમાં ઘટાડો કે સ્થિર રહેવાના સંકેત મળી રહ્યા છે.
ડીમેટ ખાતામાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન
સરકારે તમામ ડીમેટ ખાતાધારકોને 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવા જણાવ્યું છે. જો કોઈ પણ ડીમેટ એકાઉન્ટ ધારક નિયત તારીખ પહેલા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન નહીં કરે તો તે 1 ઓક્ટોબરથી તેના ખાતામાં લોગ-ઈન કરી શકશે નહીં.
મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન
સરકાર દ્વારા જારી કરાયેલા નવા નિયમ અનુસાર હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકોએ 1 ઓક્ટોબર, 2022થી નોમિનેશનની વિગતો આપવી પડશે. જો કોઈ રોકાણકાર આમ કરવામાં નિષ્ફળ રહે તો નોમિનેશનની સુવિધાનો લાભ ન લેવાનું નક્કી કર્યું છે તેવું જણાવતું ઘોષણા ફોર્મ ભરવું પડશે.
સરકાર દ્વારા મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને આપવામાં આવેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે રોકાણકારોએ નોમિનેશન ભરવા માટે ફિઝિકલ અને ડિજિટલ બંને વિકલ્પો આપવા પડશે. ફિઝિકલમાં રોકાણકારોએ ફોર્મ ભરીને સહી કરવાની રહેશે જ્યારે ડિજિટલમાં રોકાણકારોએ ઈ-સાઇન કરવાની રહેશે.
અટલ પેન્શન યોજનામાં ઇન્કમ ટેક્સ પેયરને રોકાણ કરવા પર પ્રતિબંધ
સરકારે અટલ પેન્શન યોજનાને લઈને નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ મુજબ હવે દેશમાં આવકવેરો ભરનારા લોકો અટલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકશે નહીં. આ નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે. અગાઉ 18 થી 40 વર્ષનો કોઈપણ સામાન્ય નાગરિક અટલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકતો હતો અને 60 વર્ષ પછી તેને સરકાર દ્વારા દર મહિને 5,000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે.
ટોકનાઇઝેશન સિસ્ટમ
દેશમાં 1 ઓક્ટોબર 2022થી ટોકનાઇઝેશન સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. આ પછી કોઈ પણ ઈ-કોમર્સ વેબસાઈટ અથવા પેમેન્ટ ગેટવે તમારા કાર્ડની માહિતીને લાગુ કર્યા પછી સ્ટોર કરી શકશે નહીં. આનાથી ગ્રાહકો સાથે છેતરપિંડીનું જોખમ પણ ઘટશે.
નાની બચત યોજનાના વ્યાજદર
દેશમાં નાની બચત યોજનાઓ પર વ્યાજ વધારવાની જાહેરાત થઈ શકે છે. કારણ કે આરબીઆઈએ રેપો રેટમાં વધારો કર્યા બાદ દેશની લગભગ તમામ બેંકોએ વ્યાજદરમાં વધારો કર્યો છે. આ સ્થિતિમાં 30 સપ્ટેમ્બર 2022 ના રોજ વ્યાજ દર વધારવા માટે પણ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર
એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોની સમીક્ષા દર મહિનાની પહેલી તારીખે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના ભાવમાં નરમાઈના કારણે આ વખતે સ્થાનિક (14.2 કિગ્રા) અને કોમર્શિયલ (19 કિગ્રા) ગેસ સિલિન્ડર બંનેના ભાવ ઓછા રહેવાની ધારણા છે.