RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું ‘જો સતત ગ્રોથ જોઈએ છે તો સરકારે કરવુ પડશે આ કામ’
શક્તિકાંત દાસે કહ્યું કે કોરોના મહામારીએ ગરીબોની હાલત વધુ ખરાબ કરી છે. આવનારા સમયમાં ખાનગી વપરાશને ટકાઉ રીતે ટ્રેક પર લાવવો મહત્વપૂર્ણ રહેશે.
ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) બુધવારે કહ્યું હતું કે મહામારી પછી સતત આર્થિક વૃદ્ધિ માટે સ્વાસ્થ્ય સુવિધાઓ અને માળખાકીય ક્ષેત્રોમાં રોકાણ તથા શ્રમ અને ઉત્પાદન બજારોમાં સુધારાઓ આગળ વધારવાની જરૂર છે. AIMA નેશનલ મેનેજમેન્ટ કોન્ફરન્સને સંબોધતા દાસે સતત વૃદ્ધિ અને રોજગારના અવસરોનું સર્જન કરવા માટે સ્વાસ્થ્ય શિક્ષણ, ડીજીટલ ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓમાં રોકાણ વધારવાની હિમાયત કરી હતી.
તેમણે કહ્યું કે કોવિડ -19 મહામારીએ ઉભરતા અને વિકાસશીલ દેશોમાં સૌથી વધુ ગરીબ અને વંચિત વર્ગને અસર કરી છે. દાસે કહ્યું “આપણો પ્રયત્ન મહામારી પછી રહેવા યોગ્ય અને ટકાઉ વૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ. આવનારા સમયમાં ખાનગી વપરાશને ટકાઉ રીતે ટ્રેક પર લાવવો મહત્વપૂર્ણ રહેશે. તે ઐતિહાસિક રીતે સમગ્ર માંગનો મુખ્ય આધાર રહ્યો છે.”
RBIના ગવર્નરના જણાવ્યા મુજબ વધુ મહત્ત્વની વાત એ છે કે સતત વૃદ્ધિ મધ્યમ ગાળાના રોકાણો, મજબૂત નાણાકીય વ્યવસ્થા અને માળખાકીય સુધારાઓ દ્વારા આગળ વધવી જોઈએ.
શ્રમ બજારમાં વેગ આવવો જોઈએ
તેમણે કહ્યું કે આ હેતુ માટે સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ, નવીનીકરણ, ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને વેગ આપવાની જરૂર છે. આપણે સ્પર્ધા અને ગતિશીલતાને પ્રોત્સાહન આપવા અને રોગચાળા દ્વારા સર્જાયેલી તકોનો લાભ લેવા માટે શ્રમ અને ઉત્પાદન બજારોમાં સુધારો કરવાનું ચાલુ રાખવું જોઈએ.
ADBએ ગ્રોથ રેટમાં 1 ટકાનો ઘટાડો થવાનું અનુમાન દર્શાવ્યું
કોરોનાની બીજી લહેરને કારણે આર્થિક સુધારાને ભારે ફટકો પડ્યો હતો. ફરી એકવાર આર્થિક પ્રવૃત્તિમાં તેજી જોવા મળી રહી છે, પરંતુ વચ્ચે વચ્ચે ત્રીજી લહેરની સંભાવનાથી સેન્ટિમેન્ટ પર અસર જોવા મળે છે. રેટિંગ એજન્સીઓ પણ ભારતના ગ્રોથના અનુમાનને ઘટાડી રહી છે. એશિયન ડેવલપમેન્ટ બેંકે બીજી લહેરને કારણે થયેલા નુકસાનને કારણે ચાલુ નાણાકીય વર્ષ માટે દેશની આર્થિક વૃદ્ધિના અનુમાનને ઘટાડીને 10 ટકા કર્યો છે. અગાઉ તેમણે 11 ટકાનું અનુમાન દર્શાવ્યુ હતું.
IMFએ 3 ટકા ઘટાડ્યો હતો ગ્રોથ રેટ
અગાઉ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના ગ્રોથ રેટના અનુમાનને 12.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કર્યો હતો. IMF કોરોનાની બીજી લહેર પછી વિશ્વમાં તેના ગ્રોથ રેટના અનુમાનને ભારત માટે સૌથી વધુ ઘટાડ્યો હતો. IMFએ ગ્લોબલ ગ્રોથ રેટના અનુમાનને 6 ટકા પર યથાવત રાખ્યો હતો.