પરીવહન મંત્રીએ ઉઠાવ્યો સવાલ – સસ્તી કારમાં માત્ર 2-3 એરબેગ્સ, અમીરો માટે 8 કેમ?
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) કહ્યું કે એવું કેમ છે કે કંપનીઓ 8 એરબેગ્સ માત્ર અમીર લોકો દ્વારા ખરીદવામાં આવતી મોટી કારમાં જ આપે છે અને સસ્તી કારમાં માત્ર 2-3 એરબેગ્સ હોય છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ(Nitin Gadkari) જણાવ્યું હતું કે સલામતીના દૃષ્ટિકોણથી નાની કાર જે મોટાભાગે લોઓર મીડલ ક્લાસ દ્વારા ખરીદવામાં આવે છે, તેમાં પણ પૂરતી સંખ્યામાં એરબેગ્સ (Airbags) હોવી જોઈએ. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ઓટો મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માત્ર ધનિક લોકો દ્વારા ખરીદવામાં આવતી મોટી કારમાં જ આઠ એરબેગ્સ કેમ પૂરી પાડે છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે સલામતી સુનિશ્ચિત કરવા તેઓ નાની અને સસ્તી કારમાં વધુ એરબેગ્સ આપવાની અપીલ કરી રહ્યા છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીએ (Automobile Industry) ચિંતા વ્યક્ત કરી છે કે હાયર ટેક્સેશન અને સખત સેફ્ટી અને ઉત્સર્જન નિયમોને કારણે તેમના ઉત્પાદનો મોંઘા થઈ ગયા છે.
ઓછામાં ઓછી 6 એરબેગ્સ હોવી જોઈએ
તેમણે કહ્યું મોટેભાગે લોઅર મીડલ ક્લાસના લોકો નાની ઈકોનોમીક કાર ખરીદે છે અને જો તેમની કારમાં એરબેગ્સ ન હોય અને જ્યારે અકસ્માત થાય ત્યારે તેઓનો જીવ પણ જઈ શકે છે. તેથી, હું તમામ કાર ઉત્પાદકોને અપીલ કરું છું કે વાહનના તમામ વેરિએન્ટ અને સેગમેન્ટમાં ઓછામાં ઓછી 6 એરબેગ્સ આપે.
3000થી 4000 રૂપિયા સુધી વધી જશે કિંમત
ગડકરીએ સ્વીકાર્યું કે નાની કારમાં વધારે એરબેગ્સ તેની કિંમતમાં ઓછામાં ઓછો 3,000થી 4,000 રૂપિયાનો વધારો કરશે. ગડકરીએ એમ પણ કહ્યું કે માર્ગ દુર્ઘટનાઓના મામલે આપણા દેશમાં ગરીબોને પણ રક્ષણ મળવું જોઈએ. પોતાના મંતવ્યોને ખુલીને વ્યક્ત કરવા માટે જાણીતા ગડકરીએ કહ્યું કે, શ્રીમંત લોકો માટે તમે 8 એરબેગ્સ આપો છો. સસ્તી કાર માટે તમે માત્ર 2-3 એરબેગ્સ આપો છો. આવું શા માટે?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેથી દર મહિને કેટલી કમાણી થશે
ગડકરીએ કહ્યું કે એકવાર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે કાર્યરત થઈ જાય પછી કેન્દ્ર દર મહિને 1,000થી 1,500 કરોડ રૂપિયાના ટોલની આવક આપશે. આ બહુપ્રતીક્ષિત એક્સપ્રેસ વે 2023માં કાર્યરત થવાની ધારણા છે. ગડકરીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (National Highways Authority of India- NHAI)ને ‘સોનાની ખાણ’ ગણાવી હતી. ગડકરીએ તાજેતરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની પ્રગતિની સમીક્ષા કરવા માટે લાંબી મુસાફરી પૂર્ણ કરી હતી.
તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં એનએચએઆઈ (NHAI)ની વાર્ષિક ટોલ આવક વધીને 1.40 લાખ કરોડ રૂપિયા થઈ જશે. અત્યારે તે 40,000 કરોડના સ્તરે છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સિવાય ચાર રાજ્યોમાંથી પસાર થશે.
આ 8 લેનનો એક્સપ્રેસ વે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી પસાર થશે. આ સાથે રાષ્ટ્રીય રાજધાની અને દેશની આર્થિક રાજધાની વચ્ચે મુસાફરીનો સમય વર્તમાન 24 કલાકથી ઘટીને અડધો એટલે કે 12 કલાક થઈ જશે.
આ પણ વાંચો : PLI Scheme દ્વારા ડ્રોન ઉદ્યોગને મળશે સંજીવની, 5000 કરોડનું રોકાણ આવવાની આશા