Mehul Choksi ને મુંબઈ હાઇકોર્ટે આપી રાહત, હજુ આર્થિક ભાગેડુ જાહેર નહિ કરી શકાય
મુંબઈ હાઇકોર્ટે મેહુલ ચોક્સીને બે અઠવાડિયામાં જવાબ સબમીટ કરવા નિર્દેશ આપ્યો અને કહ્યું કે આ મામલાની સુનવણી ત્રણ અઠવાડિયા પછી કરવામાં આવશે.
પંજાબ નેશનલ બેંક (PNB)ને લગતા મની લોન્ડરિંગ અને છેતરપિંડીના કેસમાં ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી(Mehul Choksi ) ને મોટી રાહત મળી છે. મુંબઈ હાઈકોર્ટે મની લોન્ડરિંગ એક્ટ (PMAL)કેસમાં વચગાળાના રાહતના આદેશને વધાર્યો છે. જેના પગલે ચોક્સીને હજી સુધી આર્થિક ભાગેડુ જાહેર કરી શકાશે નહિ .
અંતિમ આદેશ આપવા પર રોક લગાવી દીધી
એક સમાચાર પત્રના અહેવાલ અનુસાર કોર્ટે વિશેષ પીએમએલએ (PMAL)કોર્ટને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (ED) અરજી પર અંતિમ આદેશ આપવા પર રોક લગાવી દીધી હતી. જેમાં પીએનબી કૌભાંડ કેસમાં ચોક્સીને આર્થિક ગુનેગાર (FEO) જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.
ચોક્સીને બે અઠવાડિયામાં જવાબ સબમીટ કરવા નિર્દેશ આપ્યો
બીજી તરફ એક અન્ય સમાચાર પત્રના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મેહુલ ચોક્સી(Mehul Choksi ) ના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે તેમને આ મામલામાં ટૂંક જવાબ આપવા માટે સમયની જરૂર છે. ત્યારબાદ જસ્ટિસ એ.એસ. ગડકરીની સિંગલ જજ બેંચે આ આદેશની મુદત વધારી હતી. કોર્ટે ચોક્સીને બે અઠવાડિયામાં જવાબ સબમીટ કરવા નિર્દેશ આપ્યો અને કહ્યું કે આ મામલાની સુનવણી ત્રણ અઠવાડિયા પછી કરવામાં આવશે.
સંપત્તિ ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ અનુસાર જપ્ત કરી લેવામાં આવી
ઇડીએ સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટ સમક્ષ અરજી કરી હતી. જેમાં એજન્સી સમક્ષ હાજર થવા માટે સમન્સથી બચવા માટે ચોક્સીને ‘ભાગેડુ આર્થિક ગુનેગાર’ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. તેમજ તેની સંપત્તિ ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ -2018 ની જોગવાઇ અનુસાર જપ્ત કરી લેવામાં આવી હતી.
મેહુલ ચોક્સીએ તેની બાદ ઇડીની અરજી રદ કરવાની માંગ કરતા બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેણે વિશેષ અદાલતમાં એ લોકો સાથે દલીલ કરવાની માંગણી કરી હતી કે જેમના નિવેદન પર ઇડીએ ચોક્સીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવાની માંગ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે,મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકાની પોલીસ કસ્ટડીમાં છે અને ડોમેનિકાની હાઇકોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. મેહુલ ચોક્સી પર ડોમેનિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાનો ગુનો છે. જો કે પીએનબી કેસમાં ભાગેડૂ હીરાના કારોબારી મેહુલ ચોક્સીને ઝડપથી ભારતમાં પરત લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. મેહુલ ચોક્સી ભારતથી ભાગ્યા બાદ એન્ટીગુઆમાં રહેતો હતો અને તેની પાસે એન્ટીગુઆની સીટીઝનશીપ પણ છે.