મારુતિ સુઝુકી ઈન્ડિયાના ચેરમેન આર.સી. ભાર્ગવે કહ્યું ‘ભારત-જાપાન સાથે મળીને કામ કરે તો મેન્યુફેક્ચરિંગમાં બધાને પાછળ છોડી દેશે’
ભાર્ગવે કહ્યું, મને લાગે છે કે ભારત-જાપાનની ભાગીદારી જે આપણે મારુતિ સુઝુકી અને અન્ય કેટલાક ક્ષેત્રોમાં જોઈ છે તે ધીમે ધીમે મજબૂત થઈ રહી છે. હવે વધુ સંખ્યામાં જાપાનીઝ કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે રસ દાખવી રહી છે અને તેઓ ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરી રહી છે.
ભારત અને જાપાન (Japan) વચ્ચેની ભાગીદારીને સફળ ગણાવતા દેશની અગ્રણી ઓટો સેક્ટર કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) ઈન્ડિયાના ચેરમેન આર.સી. ભાર્ગવે (R.C. Bhargava) જણાવ્યું હતું કે જો બંને દેશો ઉત્પાદન ક્ષેત્રે સંપૂર્ણ વિશ્વાસ અને ભાગીદારી સાથે કામ કરે છે તો તેઓ આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ સાબિત થશે. ભાર્ગવે પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે ભારત અને જાપાન વચ્ચે વધતી ભાગીદારી ભારતીય ઉત્પાદન ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ સકારાત્મક સાબિત થશે. ભારત અને જાપાને ચાર દાયકા પહેલા મારુતિ સુઝુકી કંપની સાથે ઓટો મેન્યુફેક્ચરિંગમાં ભાગીદારી શરૂ કરી હતી.
વધુ મજબૂત બની રહી છે ભારત અને જાપાનની ભાગીદારી
ભાર્ગવે કહ્યું, મને લાગે છે કે ભારત-જાપાનની ભાગીદારી જે આપણે મારુતિ સુઝુકી અને અન્ય કેટલાક ક્ષેત્રોમાં જોઈ છે તે ધીમે ધીમે મજબૂત થઈ રહી છે. હવે વધુ સંખ્યામાં જાપાનીઝ કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે રસ દાખવી રહી છે અને તેઓ ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરી રહી છે. કૃષિ અને બાંધકામના સાધનો બનાવતી કંપની એસ્કોર્ટ્સ કુબોટાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે હવે કુબોટા આ યુનિટમાં પ્રમોટર બની ગયા છે. “મને લાગે છે કે ભારત અને જાપાન વચ્ચેની આ પ્રકારની ભાગીદારી ભારતીય મેન્યુફેક્ચરિંગના વિકાસ માટે એક મોટું સકારાત્મક પરિબળ બની રહેશે,” તેમણે કહ્યું કે જાપાની ભાગીદારો પાસેથી તેમની કુશળતા, ઉત્તમ કાર્યશૈલી અને મેનેજમેન્ટ સિસ્ટમ વિશે ઘણું શીખી શકાય છે.
ભારત માટે અનુકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓ
આ સાથે તેમણે કહ્યું કે વૈશ્વિક સ્થિતિ તે દિશામાં જઈ રહી છે, જે ભારત માટે અનુકૂળ છે. સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ સુધારાત્મક પગલાઓ પણ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભાર્ગવે કહ્યું જ્યારે વિશ્વ જોશે કે ભારત પણ બદલાઈ રહ્યું છે અને ઉત્પાદન ક્ષેત્રે તેને સ્પર્ધાત્મક બનવાથી અટકાવનારા પાસાઓ પણ બદલાઈ રહ્યા છે, ત્યારે તેઓ એ પણ જોશે કે ભારત કદાચ વિશ્વમાં સૌથી વધુ સ્પર્ધાત્મક ઉત્પાદન સ્થળ બનવા જઈ રહ્યું છે.
ભારતના સક્ષમ વર્કફોર્સને મોટી તાકાત ગણાવતા તેમણે કહ્યું કે કેટલાક નાના દેશો ભલે ઘણા સારા હોય, પરંતુ તેમની પાસે આપણી પાસે જે મેન પાવર છે તે નથી. આવી સ્થિતિમાં જો ભારત અને જાપાન સાથે મળીને કામ કરશે તો આ ગઠબંધનને કોઈ હરાવી શકશે નહીં. ભારતીય પેસેન્જર વ્હીકલ માર્કેટનો 43 ટકા હિસ્સો ધરાવતા મારુતિ સુઝુકીના વડાએ કહ્યું, “જો ભારત અને જાપાન સંપૂર્ણ ભાગીદારી અને આત્મવિશ્વાસ સાથે મળીને કામ કરે તો મને નથી લાગતું કે ચીન સહિત અન્ય કોઈ દેશ આપણા કરતાં વધુ સારું કરી શકે.”