રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી(Anil Ambani)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે રાફેલ વિમાનના પાર્ટ્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ તેમના હાથમાંથી છીનવાઈ શકે છે અને હવે મહારાષ્ટ્ર સરકાર તેમની પાસેથી 5 એરપોર્ટ પણ પાછા લેવા જઈ રહી છે.
આ પણ વાંચો : ગૌતમ અદાણી ખરીદશે અનિલ અંબાણીની ફડચામાં ગયેલી કંપની, જાણો શું છે અદાણી ગ્રુપની યોજના?
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં અનિલ અંબાણી જૂથ પાસેથી 5 એરપોર્ટ પાછા લઈ શકે છે. આ માટે સરકાર કાયદાકીય નિષ્ણાતો સાથે પણ વાત કરી રહી છે. આ એરપોર્ટ રિલાયન્સ એરપોર્ટ ડેવલપર્સને 2008-09 વચ્ચે આપવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર સરકારે અનિલ અંબાણી જૂથને લાતુર, ઉસ્માનાબાદ, નાંદેડ, યવતમાલ અને બારામતી એરપોર્ટનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કંપનીએ આ એરપોર્ટનો વિકાસ, જાળવણી અને કામગીરી શરૂ કરવાની હતી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીએ ન તો એરપોર્ટની જાળવણી કરી કે ન તો સરકારની વૈધાનિક લેણાની ચૂકવણી કરી.
સરકાર હવે આ એરપોર્ટનો કંટ્રોલ પાછો લેવાનું વિચારી રહી છે. આ માટે એડવોકેટ જનરલની સલાહ પણ લેવામાં આવી રહી છે. બાદમાં એક ટ્વીટમાં ફડણવીસે કહ્યું કે નાંદેડ અને લાતુર એરપોર્ટનું કામ અટકી ગયું છે.
અનિલ અંબાણીની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડને ભારતે 36 રાફેલ એરક્રાફ્ટ ખરીદવા માટે કરેલા સોદામાં ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવી હતી. રાફેલ બનાવનારી ફ્રાંસની દસોલ્ટે રિલાયન્સની આ કંપની સાથે જોઈન્ટ વેન્ચર બનાવ્યું હતું. હવે એવા અહેવાલ છે કે દસોલ્ટ તેના ઓફસેટ ભાગીદારનો હિસ્સો ખરીદીને ભારતમાં 100 ટકા સબસિડિયરી ખોલવા માંગે છે.
આ સાથે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નવી મુંબઈનું એરપોર્ટ આવતા વર્ષ સુધીમાં કાર્યરત થઈ જશે. આ નવા એરપોર્ટ પરથી આવતા વર્ષે ઓગસ્ટથી ફ્લાઈટ્સ ઉડવાની શરૂઆત થશે. જ્યારે રાજ્ય સરકાર શિરડી એરપોર્ટ પર રૂ. 650 કરોડના ખર્ચે ટર્મિનલ બિલ્ડિંગ બનાવવાનું કામ કરી રહી છે.
Published On - 2:52 pm, Sun, 23 July 23