શું ખરેખરમાં 500 રૂપિયાની નોટ બંધ થવાના આરે છે ? જાણો શું કહ્યું એક્સપર્ટે
ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકોને સપ્ટેમ્બર 2025 સુધીમાં વધુને વધુ 100 અને 200 રૂપિયાની નોટો ATMમાં અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો છે. આવા નિર્દેશ પછી એવી વાત પણ હવામાં ગુંજી રહી છે કે, શું 2000 પછી 500 રૂપિયાની નોટ પણ બંધ થઈ શકે છે ? જાણો આ અંગે નિષ્ણાંત શુ કહે છે.

ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકોને સપ્ટેમ્બર 2025 સુધીમાં દેશના 75 ટકા ATMમાં 100 અને 200 રૂપિયાની નોટો અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો છે. RBIના આ નિર્દેશ પછી નિષ્ણાતોનું માનવું છે કે, ભારતીય રિઝર્વ બેંક 500 રૂપિયાની નોટ પરથી નિર્ભરતા ઘટાડવા માંગે છે. હવે વાત એમ છે કે, શું 2000 પછી 500 રૂપિયાની નોટ પણ બંધ થઈ શકે છે ?
બેન્કિંગ એક્સપર્ટ અને વોઇસ ઓફ બેન્કિંગના ફાઉન્ડર અશ્વિની રાણાના મતે, RBI દેશમાં ATM દ્વારા ઉપાડવામાં આવતી રોકડમાં 100 અને 200 રૂપિયાની નોટો પર નિર્ભરતા વધારવા માંગે છે. આ ઉપરાંત RBI રોકડ માટે 500 રૂપિયાની નોટ પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે. તો શું ખરેખરમાં 500 રૂપિયાની નોટ બંધ થશે?
500 રૂપિયાની નોટ બંધ થશે કે નહીં?
અશ્વિની રાણાના મતે, જેમ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરવામાં આવી હતી, તેવી જ રીતે 500 રૂપિયાની નોટ પણ ચલણમાંથી બહાર થવા જઈ રહી છે. હવે 500 રૂપિયાની નોટ બંધ થશે કે નહીં તેનો જવાબ ફક્ત રિઝર્વ બેંક જ આપી શકે છે, પરંતુ કેટલાંક સંકેતો જોઈને એવું લાગી રહ્યું છે કે, 500 રૂપિયાની નોટ બંધ થઈ શકે છે. કેમ કે અશ્વિની રાણાનું માનવું છે કે, જો 500 રૂપિયાની નોટ આવતા વર્ષે બંધ થાય તો એ કોઈ મોટી વાત નથી.
ડિજિટલ વ્યવહારોની લેવડ દેવડ વધી
બેન્કિંગ એક્સપર્ટ અશ્વિની રાણાએ જણાવ્યું હતું કે, ભારતમાં ડિજિટલ વ્યવહારોની લેવડ દેવડ વધી રહી છે અને એવામાં RBI ડિજિટલ કરન્સી ઇ-રૂપી લાવવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં, રિઝર્વ બેંક પણ ચલણ છાપવાનો ખર્ચ ઘટાડવા માંગે છે. સરકારને નોટો છાપવામાં મોટી રકમ ખર્ચ કરવી પડે છે. આથી રિઝર્વ બેંક એટીએમમાં નાની નોટોને વધુ ચલણમાં લાવવા માંગે છે.
એક્સપર્ટ માને છે કે 2000 રૂપિયાની નોટની જેમ RBI પણ ધીમે ધીમે 500 રૂપિયાની નોટનું ચલણ ઘટાડી શકે છે. જેથી દેશમાં નાની નોટોનું ચલણ વધી જાય. રાણાના મતે, જે લોકો 500 રૂપિયાની નોટોનો સંગ્રહ કરી રહ્યા છે તેમણે સાવધાન રહેવું જોઈએ.
કોઈ પણ ચલણી નોટ બંધ કરવી કે નહીં તે અંગેનો આખરી નિર્ણય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જ લઈ શકે છે. એટીએમમાં નીકળતી રૂપિયા 500ની ચલણી નોટ પરનો આધાર ઘટાડવા માટે જ રૂપિયા 100 અને 200ની નોટ પણ વધારવા જણાવ્યું છે. ભૂતકાળમાં પણ 500ની સાથેસાથે ગ્રાહકને એટીએમમાંથી 100 અને 200ની ચલણી નોટ મળતી હતી આ સ્થિતિ પુનઃ સર્જવા માટે જ આરબીઆઈએ નિર્દેશ આપ્યો છે, 500ની ચલણી નોટ બંધ કરવાના હેતુથી નહીં.