ભારત સરકારની સૂચના બાદ Google એ ભર્યું મહત્વનું પગલું, છેતરપિંડી અને બળજબરીથી વસૂલાતના બનાવો ઉપર નિયંત્રણ આવશે
લોન એપથી છેતરપિંડીની વધી રહેલી ઘટનાઓને જોતા સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે. પ્લે સ્ટોર પરથી નકલી એપ્સને હટાવવા માટે સરકાર ગૂગલ સાથે સતત ચર્ચા કરી રહી છે. Google કહે છે કે તે આ મુદ્દાને ઉકેલવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓ અને ઉદ્યોગ સંસ્થાઓ સાથે સતત સંવાદમાં છે.
ગૂગલે(Google) લોન એપ્સ માટે એક મહત્વનુંપગલું ભર્યું છે. ગૂગલ પ્લે સ્ટોરપર રહેલી લોન એપને તેમના પ્લેટફોર્મ પર લોન એપ સાથે જોડાયેલ પાર્ટનર બેંક અથવા નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC)ની લિંક બતાવવાની રહેશે. ગૂગલે કહ્યું છે કે જે એપ આ નિયમનું પાલન નહીં કરે તેને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય સાથે ઘણી બેઠકો કર્યા બાદ ગૂગલે આ પગલું ભર્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ગૂગલના આ પગલાથી એપ દ્વારા થતી લોનની છેતરપિંડી પર રોક લાગશે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ધિરાણ આપતી એપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે લોન એપ્સ દ્વારા લોન લેનારા ગ્રાહકોને છેતરપિંડી અને હેરાન કરવાના ઘણા બનાવો પણ બન્યા છે. ગૂગલે 5 સપ્ટેમ્બરે તેની પોલિસી અપડેટ કરી હતી. નવી પોલિસી અનુસાર 19 સપ્ટેમ્બર સુધીમાં લોન એપ દ્વારા બદલવાની હતી.
શું ફાયદો થશે?
આ નિયમ લાગુ થયા બાદ જે યુઝર્સ લોન એપ દ્વારા લોન લેવા માંગે છે તેઓ તે એપ વિશે વધુ માહિતી મેળવી શકશે. આવી એપના વેબપેજ પર સંબંધિત બેંક અથવા NBFCની લિંક્સ પ્રદર્શિત થશે. લાઇવ લિંક પરથી યુઝર્સ જાણશે કે શું એપને લોન મંજૂર કરવા માટે કોઈ બેંક અથવા NBFC દ્વારા મંજૂરી આપવામાં આવી છે અથવા એપ્લિકેશન તેમની સાથે જોડાણ ધરાવે છે.
છેતરપિંડી અને બળજબરીથી વસૂલાતના બનાવો ઘટશે
લોન એપથી છેતરપિંડીની વધી રહેલી ઘટનાઓને જોતા સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે. પ્લે સ્ટોર પરથી નકલી એપ્સને હટાવવા માટે સરકાર ગૂગલ સાથે સતત ચર્ચા કરી રહી છે. Google કહે છે કે તે આ મુદ્દાને ઉકેલવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓ અને ઉદ્યોગ સંસ્થાઓ સાથે સતત સંવાદમાં છે. ઉપરાંત, ગૂગલે કહ્યું કે તેના પ્લેટફોર્મ પરની તમામ લોન એપને તેના પ્લેટફોર્મ પર ચુકવણીનો સમય, વ્યાજ દર અને લોન સંબંધિત અન્ય મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવી જોઈએ.
સરકાર ગેરકાયદેસર કંપનીઓનું રજીસ્ટ્રેશન રદ કરશે
આરબીઆઈ એ સુનિશ્ચિત કરશે કે પેમેન્ટ એગ્રીગેટર્સની નોંધણી સમય મર્યાદામાં પૂર્ણ થઈ જાય અને ત્યારપછી કોઈ અનરજિસ્ટર્ડ પેમેન્ટ એગ્રીગેટરને કોઈપણ સંજોગોમાં કામ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કોર્પોરેટ મંત્રાલય શેલ કંપનીઓની ઓળખ કરશે અને તેમના દુરુપયોગને રોકવા માટે તેમની નોંધણી રદ કરશે.