વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 35,000 કરોડ પાછા ખેંચ્યા, જાણો શું છે તેની પાછળનું કારણ
ભારતીય શેરબજારોમાંથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI) ના ઉપાડની પ્રક્રિયા ચાલુ રહી છે. FPIએ આ મહિને અત્યાર સુધીમાં ભારતીય બજારોમાંથી 35,000 કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ પાછું ખેંચ્યું છે.
ભારતીય શેરબજારોમાંથી (Share Market) ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)ના ઉપાડની પ્રક્રિયા ચાલુ છે. FPIએ આ મહિને અત્યાર સુધીમાં ભારતીય બજારોમાંથી રૂ. 35,000 કરોડથી વધુનું ભંડોળ પાછું ખેંચ્યું છે. યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારો અને ડૉલરની મજબૂતીને કારણે FPI ભારતીય બજારમાં વેચવાલી કરી રહ્યા છે. આ રીતે FPIએ 2022માં અત્યાર સુધીમાં ભારતીય બજારોમાંથી 1.65 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. કોટક સિક્યોરિટીઝના ઈક્વિટી રિસર્ચ (રિટેલ)ના વડા શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ, ફુગાવો, કડક નાણાકીય વલણ અને અન્ય પરિબળોને કારણે FPIs આગળ જતાં અસ્થિર રહેશે. જિયોજીત ફાઈનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે યુએસ માર્કેટ નબળું હોવાથી અને ડૉલર મજબૂત થઈ રહ્યો હોવાથી એફપીઆઈ વેચવાલી ચાલુ રહેશે.
સતત ચાલુ છે વેચવાલી
વિદેશી રોકાણકારો એપ્રિલ 2022 સુધી સતત સાત મહિના સુધી ભારતીય બજારમાં ચોખ્ખા વેચાણકર્તા રહ્યા છે. આ દરમિયાન તેણે 1.65 લાખ કરોડ રૂપિયાથી વધુની ચોખ્ખી ઉપાડ કરી છે. જોકે એફપીઆઈએ સતત છ મહિના સુધી વેચાણ કર્યા બાદ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં શેર્સમાં 7,707 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ તે પછી 11થી 13 એપ્રિલના ઓછા ટ્રેડિંગ સત્રના સપ્તાહમાં વેચાણકર્તા બન્યા. આગામી સપ્તાહોમાં પણ આ જ ટ્રેન્ડ ચાલુ રહેશે.
ડિપોઝિટરી ડેટા અનુસાર એફપીઆઈએ 2થી 20 મે વચ્ચે ભારતીય ઈક્વિટીમાંથી 35,137 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના એસોસિએટ ડિરેક્ટર-મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વિદેશી રોકાણકારો યુએસ સેન્ટ્રલ બેન્ક દ્વારા વધુ આક્રમક દરમાં વધારાની શક્યતાને લઈને ચિંતિત છે. ફેડરલ રિઝર્વે આ વર્ષમાં બે વખત વ્યાજદર વધાર્યા છે. ઈક્વિટી ઉપરાંત, એફપીઆઈએ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ડેટ અથવા બોન્ડ માર્કેટમાંથી ચોખ્ખા 6,133 કરોડ રૂપિયા ઉપાડ્યા છે.
ભારત ઉપરાંત, એફપીઆઈએ તાઇવાન, દક્ષિણ કોરિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ જેવા અન્ય ઊભરતાં બજારોમાંથી પણ ઉપાડ કર્યો છે. તમને જણાવી દઈએ કે શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ઘણું દબાણ હતું, પરંતુ આ સપ્તાહે બે દિવસથી બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. બજારમાં એક દિવસે 2.54 ટકા અને બીજા દિવસે 2.91 ટકાનો બમ્પર ઉછાળો આવ્યો છે.