Breaking News: ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે FTA પર મહોર, ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે કામ કરવાની ‘નવી તકો’
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટે (FTA) બંને દેશોના આર્થિક સંબંધોમાં એક નવો વળાંક લાવ્યો છે. આ સમજૂતીથી ભારતીય નિકાસકારો માટે ન્યુઝીલેન્ડના બજારો ટેક્સ-ફ્રી બનશે. આનાથી કાપડ, ચામડા અને ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રોને મોટો વેગ મળશે.

ભારત અને ન્યુઝીલેન્ડે સોમવારે એક ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરીને પોતાના આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના તેમના સમકક્ષ ટોડ મેક્લેની હાજરીમાં આ સમજૂતી પર મહોર મારવામાં આવી હતી.
નિકાસકારો માટે ‘મોટી રાહત’
આ સમજૂતીની સૌથી મોટી વિશેષતા એ છે કે, ન્યુઝીલેન્ડ હવે ભારતથી થતી 100 ટકા નિકાસ પર ટેરિફ (સીમા શુલ્ક) હટાવી દેશે. અત્યાર સુધી ન્યુઝીલેન્ડ ભારતના લગભગ 450 ઉત્પાદનો પર 10 ટકા શુલ્ક વસૂલતું હતું. આમાં કાપડ, તૈયાર કપડાં, ચામડાની વસ્તુઓ, પગરખાં, કાર્પેટ અને ઓટોમોબાઈલ પાર્ટ્સનો સમાવેશ થતો હતો.
India and New Zealand, under the leadership of PM @NarendraModi ji and PM of New Zealand Mr. @ChrisLuxonMP, have signed the #IndiaNZFTA, India’s first women-led Free Trade Agreement and a defining milestone in our bilateral economic journey.
Successfully concluded in a record… pic.twitter.com/N6hSGKg4fL
— Piyush Goyal (@PiyushGoyal) April 27, 2026
હવે આ તમામ ઉત્પાદનો કોઈપણ શુલ્ક વિના ન્યુઝીલેન્ડના બજારમાં પ્રવેશી શકશે, જે ભારતીય નિકાસકારોને જબરદસ્ત સ્પર્ધાત્મક લાભ આપશે. બીજી તરફ, ભારતે પણ ન્યુઝીલેન્ડથી થતી 95 ટકા આયાત પર ટેરિફ ઘટાડવા અથવા હટાવવા સંમતિ આપી છે. જો કે, ભારતીય ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને ડેરી ઉત્પાદનો (દૂધ, પનીર, દહીં વગેરે) અને ઘણા કૃષિ પેદાશોને આ સમજૂતીથી બહાર રાખવામાં આવ્યા છે.
20 અબજ ડોલરનું રોકાણ અને રોજગાર
સમજૂતી હેઠળ ન્યુઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ રોકાણ મુખ્યત્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં કરવામાં આવશે. ખાસ કરીને ઉત્તર પ્રદેશનું આગ્રા શહેર આ સમજૂતીથી મોટો લાભ મેળવશે. આગ્રા, જે ભારતના 75 ટકા ચામડાના પગરખાંનું ઉત્પાદન કરે છે, તે હવે ન્યુઝીલેન્ડના ઉચ્ચ ગુણવત્તાવાળા કાચા ચામડાનો ઉપયોગ કરીને વૈશ્વિક સ્તરે મોટું સોર્સિંગ હબ બનશે.
વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે નવી તકો
- આ FTAમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓની ગતિશીલતા અને પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા પર એક વિશેષ જોગવાઈ ઉમેરવામાં આવી છે.
- ભારતીય વિદ્યાર્થીઓ ન્યુઝીલેન્ડમાં અભ્યાસ દરમિયાન દર અઠવાડિયે 20 કલાક કામ કરી શકશે.
- IT, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને બાંધકામ જેવા ક્ષેત્રોના 5,000 સ્કિલ્ડ ભારતીયો માટે વાર્ષિક ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.
- આયુષ ચિકિત્સકો (Ayush Doctors), યોગ પ્રશિક્ષકો (Yoga Instructors) અને સંગીત શિક્ષકો માટે પણ વિઝાની વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.
- ‘વર્કિંગ હોલિડે વિઝા’ હેઠળ 1,000 ભારતીય યુવાનો દર વર્ષે 12 મહિના માટે ન્યુઝીલેન્ડ જઈ શકશે.
ફાર્મા અને આયુષ ક્ષેત્રને વેગ
ભારતીય દવા ઉદ્યોગ માટે પણ આ સમજૂતી સારા સમાચાર લાવી છે. હવે ભારતીય દવાઓને ન્યુઝીલેન્ડમાં ઝડપથી નિયામક મંજૂરી (Regulatory Approval) મળશે. સાથે જ, બંને દેશોએ પ્રથમ વખત પરંપરાગત ચિકિત્સા (AYUSH) ને માન્યતા આપતું એક સમર્પિત પ્રકરણ કર્યું છે.
