BABA Ramdev ની કંપની તેની આ પ્રોડક્ટની કિંમતમાં 10 થી 15 રૂપિયા ઘટાડો કરશે,જાણો શું મળશે સસ્તું?
પતંજલિ ફૂડ્સના સીઈઓ સંજીવ અસ્થાનાએ જણાવ્યું કે અમે એક-બે દિવસમાં પામ ઓઈલ, સનફ્લાવર ઓઈલ અને સોયાબીન ઓઈલના ભાવમાં 10-15 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ.
ખાદ્યતેલ(Edible Oil) ના ભાવમાં વધુ રાહત મળવાની છે. બાબા રામદેવની (BABA Ramdev)ની પતંજલિ ફૂડ્સ(Patanjali Foods) લિમિટેડ ટૂંક સમયમાં સોયાબીન તેલ, સૂર્યમુખી તેલ અને પામ ઓઈલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 10-15નો ઘટાડો કરશે જેથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવમાં થયેલા ઘટાડાના લાભ ગ્રાહકો સુધી પહોંચાડી શકાય. કંપનીના એક અધિકારીએ આ જાણકારી આપી છે. આ મહિનાની શરૂઆતમાં,ખાદ્ય મંત્રાલયે ખાદ્ય તેલ કંપનીઓને આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાને અનુરૂપ ખાદ્ય તેલના ભાવ ઘટાડવાનો નિર્દેશ આપ્યો હતો. કેન્દ્રના નિર્દેશને પગલે મધર ડેરીએ 14 રૂપિયા પ્રતિ લીટર અને અદાણી વિલ્મરે 30 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો કર્યો છે.
પતંજલિની પ્રોડક્ટની કિંમત કેટલી ઘટશે?
પતંજલિ ફૂડ્સના સીઈઓ સંજીવ અસ્થાનાએ જણાવ્યું કે અમે એક-બે દિવસમાં પામ ઓઈલ, સનફ્લાવર ઓઈલ અને સોયાબીન ઓઈલના ભાવમાં 10-15 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ. જો આપણે છેલ્લા 45 દિવસો પર નજર કરીએ તો કુલ કપાત 30-35 રૂપિયા પ્રતિ લિટર હશે. તેમણે કહ્યું કે પતંજલિ ફૂડ્સની હરીફ કંપનીઓએ છેલ્લા દોઢ મહિનામાં આ રેશિયોમાં ઘટાડો કર્યો નથી. અસ્થાનાએ કહ્યું કે વૈશ્વિક સ્તરે કિંમતોમાં 15-20 ટકાનો ઘટાડો થયો છે. પતંજલિ ફૂડ્સ (અગાઉની રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) તેની પ્રોડક્ટ્સ રુચિ ગોલ્ડ, મહાકોશ, સનરિચ, ન્યુટ્રેલા, રુચિ સ્ટાર અને રુચિ સનલાઈટ જેવી બ્રાન્ડ્સ હેઠળ વેચે છે. તે પામ ઓઈલ પ્લાન્ટેશન અને રિન્યુએબલ વિન્ડ એનર્જી બિઝનેસમાં પણ છે. વર્ષ 2019 માં બાબા રામદેવની આગેવાની હેઠળની પતંજલિ આયુર્વેદે રૂચી સોયાને નાદારી પ્રક્રિયા દ્વારા રૂ. 4,350 કરોડમાં હસ્તગત કરી હતી.
મેરિકોએ પણ કિંમતમાં ઘટાડો કર્યો
દરમિયાન મેરિકો લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીએ તાજેતરમાં કિંમતોમાં સુધારો કર્યો છે પરંતુ વધુ વિગતો આપી નથી. સેફોલા બ્રાન્ડની માલિકી ધરાવતી કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મેરિકો લિમિટેડ સમગ્ર ભારતમાં તેના ગ્રાહકો માટે શ્રેષ્ઠ મૂલ્ય અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા હંમેશા પ્રતિબદ્ધ છે. ખાદ્યતેલના ઘટેલા ભાવનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા અમે તાજેતરમાં અમારા ઉત્પાદનોના પોર્ટફોલિયોના ભાવમાં ઘટાડો કર્યો છે. ભારત તેની સ્થાનિક ખાદ્યતેલની 60 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. ઓક્ટોબરમાં પૂરા થતા માર્કેટિંગ વર્ષ 2020-21 દરમિયાન દેશમાં લગભગ 13 મિલિયન ટન ખાદ્ય તેલની આયાત કરવામાં આવી હતી.