રશિયા – યુક્રેન તણાવના કારણે રશિયા અનેક પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. આર્થિક પ્રતિબંધો વચ્ચે પણ ભારત રશિયા સાથેનો વેપાર સંબંધ સુમેળભર્યો બનાવી અને ટકાવી રાખવા પ્રયત્નશીલ છે. બે દેશ વચ્ચેની વેપાર સમજુતીનો બંને દેશને સારો લાભ પણ મળી રહ્યો છે.
અમેરિકા સહીત દેશોએ ભારતને રશિયા સાથે ટ્રેડ ન કરવા ચીમકીઓ આપી છે પણ અમેરિકાએ આંખ દેખાડવા છતાં પરવાહ કર્યા વિના ભારત રશિયા સાથે વેપારના એક પછી એક નવા વિકલ્પ તૈયાર કરી રહ્યું છે.
સમુદ્ર માર્ગે રશિયાથી કોલસો, ક્રૂડ અને અન્ય ચીજોને ભારત પહોંચતા 45 થી 60 દિવસનો સમય લાગે છે. આ માર્ગ પાછળ સમય અને ઈંધણનો ખર્ચ વધુ થાય છે તો સાથે આયાત થનાર ચીજની કિંમત પણ ખુબ વધી જાય છે. ભારતે રશિયા અને ઈરાન પર પ્રતિબંધ હોવા છતાં International North–South Transport Corridor (INSTC) તૈયાર કરી આંતરરાષ્ટ્રીય વેપારને નવી દિશા અને ગતિ પ્રદાન કરી છે.
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે Black Sea મારફતે થતો વેપાર માર્ગ લગભગ ઠપ્પ થઈ ગયો છે. આ માર્ગ દ્વારા સમગ્ર યુરોપમાં યુક્રેનિયન અનાજ સપ્લાય કરવામાં આવતું હતું. આ સમુદ્રમાં રશિયાની નૌકાદળની નાકાબંધી અંગે સંયુક્ત રાષ્ટ્ર સહિત ઘણા દેશોએ પણ ચિંતા વ્યક્ત કરી છે.
દરમિયાન રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને ભારતની મદદથી એક અલગ વેપાર માર્ગ ખોલવાની જાહેરાત કરી હતી. તેમણે કેસ્પિયન સમુદ્ર સાથે જોડાયેલા દેશોના વડાઓ સાથેની બેઠકમાં International North–South Transport Corridor દ્વારા વેપારને નવી દિશા અને ગતિ પ્રદાન કરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ કોરિડોરને સમગ્ર પ્રદેશના પરિવહન અને કનેક્ટિવિટી માટે ગેમ ચેન્જર ગણાવ્યું હતું. આ કોરિડોરમાં મુખ્યત્વે રશિયા, ઈરાન અને ભારતનો સમાવેશ થાય છે.
7200 કિલોમીટરનો આ માર્ગ મલ્ટીમોડ એટલેકે રોડ , જળમાર્ગ અને ટ્રેનના પરિવહનના વિકલ્પ ધરાવે છે. રશિયાએ સૌના આશ્વર્ય વચ્ચે આ રૂટથી બે ટ્રેન ભારત રવાના પણ કરી દીધી છે. જે વાયા ઈરાન ભારત પહોંચી હતી. આ ટ્રેનમાં કોલસો મોકલવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં કોરિડોર મારફતે ક્રૂડ અને ગેસના પરિવહન માટે પણ અંદાજ લગાવાઈ રહ્યા છે.
INSTC પાછળનો તર્ક સરળ છે. અત્યાર સુધી ભારતથી રશિયામાં માલસામાન પહોંચાડવા માટે વેપારી જહાજોએ અરબી સમુદ્ર, લાલ સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને પાર કરવો પડતો હતો. તે પછી પશ્ચિમ યુરોપની આસપાસ જવું પડે છે અને અંતે સેન્ટ પીટર્સબર્ગ પહોંચવા માટે બાલ્ટિક સમુદ્રમાંથી પસાર થવું પડે છે. હવે INSTC કોરિડોર ખૂલવાથી મુસાફરીનો સમય 40-60 દિવસથી ઘટીને 25-30 દિવસ થઈ જશે. નવો વેપાર માર્ગ મધ્ય એશિયા, કેસ્પિયન સમુદ્ર, ઈરાન અને અંતે અરબી સમુદ્રમાંથી પસાર થશે જેનાથી પરિવહન ખર્ચમાં 30 ટકાનો ઘટાડો થશે.વર્ષ 2030 સુધીમાં INSTC કોરિડોર દ્વારા દર વર્ષે લગભગ 25 મિલિયન ટન નૂર પરિવહન કરવાનો લક્ષ્યાંક છે. આ યુરેશિયા, દક્ષિણ એશિયા અને ગલ્ફ વચ્ચેના કુલ કન્ટેનર ટ્રાફિકના 75 ટકા હિસ્સો હશે.
વેપાર ઉપરાંત INSTC કોરિડોર ભારત માટે વ્યૂહાત્મક રીતે પણ મહત્વપૂર્ણ છે. આ માર્ગ ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાનને બાયપાસ કરીને મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન સુધી પહોંચે છે. વર્ષ 2016માં ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેહરાન મુલાકાત દરમિયાન ઈરાનના ચાબહાર બંદરના વિકાસ માટે 85 મિલિયન ડોલરનું રોકાણ અને 150 મિલિયન ડોલરની લોનની જાહેરાત કરી હતી. ભારત ચાબહાર પોર્ટને INSTC કોરિડોરમાં સામેલ કરવા ઈચ્છે છે.
વેપાર જગતની મોટી ખબરો વચ્ચે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના રશિયાના પ્રવાસ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસીય પ્રવાસ માટે મોસ્કો પહોંચી ગયા છે. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રશિયાના પ્રથમ નાયબ વડાપ્રધાન ડેનિસ માન્તુરો દ્વારા એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે. પુતિન PM મોદીના સન્માનમાં મોસ્કોની બહાર એક ડિનરનું આયોજન કર્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં મોદીની રશિયાની આ પ્રથમ મુલાકાત છે અને તેમના ત્રીજા કાર્યકાળમાં તેમની પ્રથમ વિદેશ મુલાકાત છે. પુતિન અને પીએમ મોદી વચ્ચે ઊર્જા અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તકો શોધવા માટે સમિટ યોજાવાની છે.
ભારત એ વિશ્વનો મોટો કન્ઝ્યુમર દેશ છે. દરેક દેશ અહીં પોતાનો સમાન નિકાસ કરવા ઈચ્છે છે. રશિયાના INSTC કોરિડોર બાદ 13 દેશ આ કોરિડોર સાથે જોડાવા પ્રસ્તાવ મૂકી રહ્યા છે. આગામી દિવસોમાં આ કોરિડોર વૈશ્વિક વેપારમાં મોટી ભૂમિકા ભજવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
મધ્ય એશિયાના દેશ International North–South Transport Corridor નો ઉપયોગ કરે તો સુએજ કેનલની ચિંતામાંથી છુટકારો મળી શકે છે. તાજેતરમાં આ કેનલમાં જહાજ ફસાઈ જવાના કારણે વૈશ્વિક વેપારમાં ટ્રાન્ઝેક્શન ઠપ્પ થઇ ગયું હતું. આ પ્રકારની સમસ્યાઓ ભારત સાથેના વેપારમાં અડચણો ન લાવે તે માટે INSTC દ્વારા વેપાર માટે મક્કમતા દર્શાવવામાં આવી છે.
INSTC દ્વારા રશિયાએ તાજેતરમાં કોલસો ભરેલી ટ્રેન રવાના કરી હતી. આ ટ્રેન ભારત પહોંચી પણ ગઈ છે. રશિયા વિશ્વનો બીજો સૌથી મોટો કોલસાનો નિકાસકાર છે. એક અનુમાન અનુસાર વિશ્વની કુલ માંગના 20% કોલસો રશિયા પૂરો પડે છે. ભારતમાં મોટાભાગના વીજળી ઉત્પાદન મથક કોલસાથી ચાલે છે. ઉનાળાની ગરમીમાં કોલસાની ખુબ માંગ વધી હતી અને ભારતે સમસ્યાનો સામનો પણ કરવો પડ્યો હતો. આ સમસ્યાનો હલ International North–South Transport Corridor દ્વારા કાઢવામાં આવી રહ્યો છે.
ચાબહાર પોર્ટને લઈને ભારત અને ઈરાન વચ્ચે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ચાબહાર વિદેશમાં ભારત સરકાર દ્વારા સંચાલિત પ્રથમ બંદર બની ગયું છે. ભારતે ચાબહાર પોર્ટના વિકાસ માટે 250 મિલિયન ડોલરની ક્રેડિટ વિન્ડો પણ ઓફર કરી છે. ચાબહાર પોર્ટને ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) સાથે સાંકળવાની યોજનાનો એક ભાગ હતો, જે ઈરાન દ્વારા રશિયા સાથે ભારતની કનેક્ટિવિટી સરળ બનાવશે.
આ પણ વાંચો : PM Modi Russia Visit : PM મોદી પહોંચ્યા રશિયા, પુતિને ગળે લગાવીને કર્યું ઉષ્માભર્યું સ્વાગત, જુઓ Video