હનુમાનજીની પૂજા કરવાથી શા માટે પનોતીમાં મળે છે રાહત ? જાણો રસપ્રદ કથા
શનિવારના રોજ શનિદેવની (lord shanidev) ઉપાસના કરવાથી માત્ર શનિદેવની જ કૃપા ભક્તોને પ્રાપ્ત થાય છે. પરંતુ, શનિવારના રોજ હનુમાનજીની ઉપાસના કરવાથી હનુમાનજી અને શનિદેવ બંન્નેની કૃપા શ્રદ્ધાળુઓ પ્રાપ્ત કરી શકે છે !
શનિવાર (saturday) એ માત્ર શનિદેવને (lord shanidev) જ નહીં, પરંતુ, હનુમાનજીને (lord hanuman) પણ સમર્પિત વાર છે. એમાં પણ સૌથી મહત્વની વાત એ છે કે શનિવારના રોજ શનિદેવની ઉપાસના કરવાથી માત્ર શનિદેવની જ કૃપા ભક્તોને પ્રાપ્ત થાય છે. પરંતુ, શનિવારના રોજ હનુમાનજીની ઉપાસના કરવાથી હનુમાનજી અને શનિદેવ બંન્નેની કૃપા શ્રદ્ધાળુઓ પ્રાપ્ત કરી શકે છે ! લૌકિક માન્યતા એવી છે કે જે શ્રદ્ધાળુ શનિવારના રોજ આસ્થા સાથે હનુમાનજીની પૂજા-અર્ચના કરી લે છે, કે મંત્રજાપ કરી લે છે તેને પનોતીમાં પણ રાહતની પ્રાપ્તિ થઈ જાય છે. આખરે, હનુમાનજીની ઉપાસનાથી શનિદેવ શા માટે પ્રસન્ન થાય છે ? આવો, તે વિશે વિગતે જાણીએ.
કહે છે કે જે મનુષ્ય આસ્થા સાથે હનુમાનજીની પૂજા કરે છે અથવા હનુમાન ચાલીસાના પાઠ પણ કરે છે, તેને શનિદેવ ક્યારેય પરેશાન નથી કરતા. એટલું જ નહીં, જેમને પનોતી ચાલી રહી હોય, તેમને પનોતીમાં પણ રાહતની પ્રાપ્તિ થઈ જાય છે ! કારણ કે શનિદેવે સ્વયં હનુમાનજીને એવું વચન આપ્યું છે, કે “જે શ્રદ્ધાળુ શનિવારના રોજ હનુમાનજીની પૂજા કરશે, તેને શનિદેવની વક્રદૃષ્ટિનો ભોગ નહીં બનવું પડે !” હવે, શનિદેવે હનુમાનજીને આવું વચન શા માટે આપ્યું, તેની સાથે રોચક પ્રસંગ જોડાયેલા છે.
ગુરુદક્ષિણાની કથા !
હનુમાનજીએ તેમના ગુરુ સૂર્યદેવ પાસેથી સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. અને ત્યારબાદ તેમને પૂછ્યું કે ગુરુદક્ષિણામાં તેઓ શું ઈચ્છે છે. કહે છે કે ત્યારે ઉદાસ વદને સૂર્યદેવે હનુમાનજીને કહ્યું કે, “હે વત્સ ! મારો પુત્ર શનિ મારી વાત નથી માનતો. તે મારી પાસે પણ નથી આવતો. જો તું મારા માટે કંઈ કરવા જ માંગતો હોય, તો મારા પુત્રને મારી પાસે લઈ આવ. એ જ મારા માટે સૌથી મોટી ગુરુદક્ષિણા હશે. ! “
પ્રચલિત કથા અનુસાર સૂર્યદેવના આશીર્વાદ લઈ હનુમાનજી શનિદેવની પાસે પહોંચ્યા. તે સમયે જ શનિદેવે હનુમાનજી પર તેમની વક્રદૃષ્ટિ નાંખી. જેના લીધે પવનપુત્રનો દેહ કાળો પડી ગયો. પણ, તેમ છતાં હનુમાનજીએ શનિદેવનો પીછો કરી તેમને પકડી લીધાં. અને તેમને સૂર્યદેવની પાસે લઈ ગયા. પિતા-પુત્રનું તો મિલન થયું. પણ, હનુમાનજીની ગુરુભક્તિથી શનિદેવ અત્યંત પ્રસન્ન થઈ ગયા. અને બોલ્યા, “હે પવનસુત ! હું તમારી ગુરુભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું. એટલે જ હું તમને વચન આપું છું કે તમારા ભક્તો પર ક્યારેય મારી વક્રદૃષ્ટિ નહીં પડે. શનિવારે જ્યારે ભક્તો મારી પૂજા બાદ તમારી પૂજા કરશે, ત્યારે જ તેને પૂર્ણ ફળની પ્રાપ્તિ થશે. ! “
કહે છે કે પૂર્વે તો મંગળવારના રોજ જ હનુમંત પૂજાનો વિશેષ મહિમા હતો. પરંતુ, શનિદેવના આ વરદાનને લીધે જ શનિવારે પણ હનુમાનજી એ જ ભવ્યતાથી પૂજાવા લાગ્યા.
કારાગૃહમાંથી મુક્તિની કથા
અન્ય એક કથા અનુસાર ક્યારેય શનિદેવની વક્રદૃષ્ટિનો સામનો ન કરવો પડે તે માટે રાવણે શનિદેવને જ બંદી બનાવી દીધાં હતા. જ્યારે પવનસુત માતા સીતાની શોધ કરતા લંકા પહોંચ્યા, ત્યારે તેમની દૃષ્ટિ શનિદેવ પર પડી. બજરંગબલીએ શનિદેવને રાવણની કેદમાંથી મુક્ત કરાવ્યા. શનિદેવે હનુમાનજી પર પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું અને હનુમાનજી એ કહ્યું, “કળીયુગમાં જે મારી પૂજા કરે તેને આપના પ્રકોપનો ક્યારેય સામનો ન કરવો પડે.” શનિદેવે તરત જ હનુમાનજીને તથાસ્તુના આશિષ આપી દીધાં.
પ્રચલિત માન્યતા એવી છે કે, શનિદેવે આપેલાં આ વરદાનને લીધે જ શનિવારના રોજ હનુમાન ઉપાસનાનો મહિમા છે. એટલું જ નહીં, શનિવારની હનુમાન પૂજાથી પવનસુત અને શનિદેવ બંન્નેની કૃપા શ્રદ્ધાળુઓને પ્રાપ્ત થાય છે !
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)