મંગળનું કુંભ રાશિમાં ગોચર: રાહુ સાથેની યુતિથી રચાશે ભયાનક ‘અંગારક યોગ’, આ રાશિના જાતકોએ 23 ફેબ્રુઆરીથી રહેવું પડશે સાવધાન!
23 ફેબ્રુઆરીથી ગ્રહોના સેનાપતિ મંગળ શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે. મંગળ-રાહુની આ યુતિ 'અંગારક યોગ' બનાવશે જે વૃષભ, કર્ક અને કુંભ રાશિ માટે મુશ્કેલીઓ લાવી શકે છે. વિવાદ અને આર્થિક નુકસાનથી બચવા માટે આ રાશિઓએ કરવા પડશે ખાસ ઉપાયો.

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું રાશિ પરિવર્તન અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ મોટો ગ્રહ પોતાની ચાલ બદલે છે, ત્યારે તેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. હવે સ્થિતિ થોડી ગંભીર બનવા જઈ રહી છે. 23 ફેબ્રુઆરીના રોજ સવારે 11:50 કલાકે મંગળ દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
કુંભ રાશિમાં પહેલેથી જ રાહુ હાજર હોવાથી મંગળ અને રાહુની યુતિ થશે, જેના પરિણામે ‘અંગારક યોગ’ નું નિર્માણ થશે. જ્યોતિષમાં આ યોગને અશુભ અને ઉથલપાથલ કરનારો માનવામાં આવે છે. તેનાથી અચાનક વિવાદ, અકસ્માતનો ભય અને માનસિક તણાવ વધી શકે છે.
આ 3 રાશિઓએ ખાસ સાવધ રહેવું પડશે:
વૃષભ રાશિ
મંગળનું આ પરિવર્તન તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મન અશાંત રહેશે અને પરિવારમાં વિવાદ થવાની શક્યતા છે. ઓફિસમાં કામમાં મન નહીં લાગે અને વિરોધીઓ સક્રિય થઈ શકે છે. કોઈપણ સાથે દલીલમાં ઉતરવાનું ટાળવું અને અટકેલા કામો પૂરા કરવામાં ધીરજ રાખવી.
કર્ક રાશિ
તમારા માટે આ સમય પડકારોથી ભરેલો રહેશે. આર્થિક પક્ષ નબળો પડી શકે છે અને ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. કાર્યસ્થળ પર દબાણ અને વિરોધનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય બાબતે જરા પણ બેદરકારી ન રાખવી, નહીં તો મુશ્કેલી વધી શકે છે.
કુંભ રાશિ
મંગળ તમારી જ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જે ચિંતામાં વધારો કરશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને અચાનક ખર્ચ વધવાથી બજેટ ખોરવાઈ શકે છે. વેપાર કે રોકાણના નિર્ણયો ખૂબ જ વિચારીને લેવા, કારણ કે આર્થિક નુકસાનની પ્રબળ શક્યતા છે.
અશુભ પ્રભાવથી બચવા માટેના અચૂક ઉપાયો:
- સ્વભાવમાં નમ્રતા અને શાંતિ જાળવવી, ક્રોધથી બચવું.
- દર મંગળવારે હનુમાનજીની પૂજા કરો અને હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડ ના પાઠ કરો.
- હનુમાનજીને ચોળા અર્પણ કરો.
- લાલ મસૂરની દાળનું દાન કરવું અને જરૂરિયાતમંદોને મદદ કરવી.
Disclaimer: આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
