Nag panchami: શું તમને ખબર છે કે નાગપંચમીની ઊજવણીની શરૂઆત કેવી રીતે થઈ ? જાણો, નાગ પ્રજાતિના ઉદ્ધારની કથા
સર્પસત્રનો પ્રતાપ જ કંઈક એવો હતો કે નાગ સ્વયં જ આવીને યજ્ઞકુંડમાં હોમાઈ જતા. કહે છે કે આ ધરતી પર પહેલાં કુલ નવકુળ નાગ હતા. પરંતુ, આઠકુળ નાગ તો જન્મેજયના યજ્ઞમાં જ હોમાઈ ગયા !
વિક્રમ સંવત અનુસાર દર મહિનામાં બે પંચમી (panchmi) આવતી હોય છે. એક સુદ પક્ષની અને એક વદ પક્ષની. પરંતુ, તે સૌમાં શ્રાવણ માસમાં આવતી પંચમીનું એક આગવું જ મહત્વ છે. કારણ કે આ પંચમી નાગ પંચમી (nag panchami) તરીકે ઓળખાય છે. કેટલાંક વિસ્તારોમાં સુદ પક્ષની પંચમી નાગ પંચમી તરીકે ઉજવાય છે, તો ક્યાંક વદ પક્ષની પંચમીએ નાગ પૂજાનો મહિમા છે. આ નાગ પંચમી શા માટે ઉજવાય છે, તે સંબંધી અનેકવિધ કથાઓ, દંતકથાઓ અને માન્યતાઓ પ્રચલિત છે. પરંતુ, અમારે આજે એક એવી કથાની વાત કરવી છે, કે જેના વિશે ભાગ્યે જ કોઈ જાણે છે.
નાગ પંચમીના પ્રારંભ સાથે જોડાયેલી આ કથાનો આમ તો અનેક પુરાણોમાં ઉલ્લેખ મળે છે. પણ, આ કથા જ નાગ પંચમી સાથે જોડાયેલી હોવાનો ઘણાં ઓછાં લોકોને ખ્યાલ હશે. આ કથા સ્વયં નાગકુળના ઉદ્ધાર સાથે પણ જોડાયેલી છે. આવો, આજે તે જ રસપ્રદ કથાને જાણીએ.
પ્રચલિત કથા અનુસાર ઋષિ કશ્યપની પત્ની કદ્રુથી સર્પ પ્રજાતિનું પ્રાગટ્ય થયું છે. પરંતુ, એકવાર સ્વયંની વાત ન માનનારા સંતાનો પર ક્રોધે ભરાઈ ખુદ કદ્રુએ જ સર્પ પ્રજાતિને ભયંકર શ્રાપ આપી દીધો, કે તેઓ જન્મેજયના ‘સર્પસત્ર’માં હોમાઈને મૃત્યુને પામશે ! આ શ્રાપથી બચવા સર્પ પ્રજાતિ બ્રહ્માજીની શરણમાં ગઈ. બ્રહ્માજીએ કહ્યું કે ઋષિ જરત્કારુથી થનારો પુત્ર કદાચ નાગકુળને તારી શકશે. આ વાત સાંભળી વાસુકીનાગે તેમની બહેન મનસાના વિવાહ ઋષિ જરત્કારુ સાથે કરાવી દીધાં.
દેવી મનસા આજે નાગ માતા તરીકે પૂજાય છે. આ દેવી મનસા સ્વયં શિવજીના જ માનસપુત્રી હોવાનો ભવિષ્યપુરાણ અને લિંગપુરાણમાં ઉલ્લેખ મળે છે. કહે છે કે દેવી મનસા સગર્ભા થતાં જ ઋષિ જરત્કારુ તપસ્યા માટે નીકળી પડ્યા. અને ત્યારબાદ માતા પાર્વતી અને મહાદેવના સાનિધ્યમાં જ દેવી મનસાએ પુત્ર ‘આસ્તિક’ને જન્મ આપ્યો. સ્વયં મહાદેવે જ આસ્તિકને જનોઈ આપી વેદ-વેદાંગમાં પારંગત કર્યા. બીજી તરફ એક શ્રાપવશ તક્ષક નાગના દંશથી રાજા પરક્ષિતનું મૃત્યુ થયું. અને ક્રોધે ભરાયેલાં તેમના પુત્ર જન્મેજયે ‘સર્પસત્ર’નું આયોજન કર્યું.
આ સર્પસત્રનો પ્રતાપ જ કંઈક એવો હતો કે નાગ સ્વયં જ આવીને યજ્ઞકુંડમાં હોમાઈ જતા. કહે છે કે, આ ધરતી પર પહેલાં કુલ નવકુળ નાગ હતા. પરંતુ, આઠકુળ નાગ તો જન્મેજયના યજ્ઞમાં જ હોમાઈ ગયા ! આ મુસીબતથી ઉગરવા દેવતાઓએ દેવી મનસાનું શરણું લીધું. અને માતા મનસાની જ આજ્ઞાથી ઋષિ આસ્તિક જન્મેજયના યજ્ઞમાં પહોંચ્યા. સ્વયંના બુદ્ધિ અને વાણીચાતુર્યથી આસ્તિકે જન્મેજયને વચન પાલન માટે પ્રતિબદ્ધ કર્યા. અને પછી સર્પયજ્ઞને રોકી દેવાની માંગ કરી. આખરે, વચને બંધાયેલાં જન્મજેયે યજ્ઞ રોકાવી દીધો. અને તે સાથે જ ધરતી પરનો એકકુળ નાગ રક્ષિત રહી ગયો !
દંતકથા એવી છે કે નાગની મુક્તિનો તે દિવસ એ શ્રાવણ માસની પંચમીનો દિવસ હતો. કે જેને આજે આપણે નાગ પંચમી તરીકે ઉજવીએ છીએ. આમ નાગ પંચમીનો દિવસ એ તો સ્વયં નાગકુળના પણ ઉદ્ધારનો દિવસ મનાય છે.
આ પણ વાંચોઃકાલસર્પ દોષ નિવારણ માટે ઉત્તમ છે આ ભૂમિ ! અહીં સ્વયં શિવ-પાર્વતી બન્યા નાગેશ્વર-નાગેશ્વરી !
આ પણ વાંચોઃઆ જન્માષ્ટમીએ રંગથી રીઝવો ‘રંગ રસીયા’ને, સઘળા મનોરથ થશે પૂર્ણ