જાણી લો ઘરમાં હાથીની મૂર્તિ રાખવાના આ નિયમ, ગજરાજ બદલી દેશે તમારું ભાગ્ય !
હાથી (elephant) સૂંઢની સાથે આગળના બે પગ પણ જો ઉપરની તરફ ઉઠેલા હોય તો તેવી પ્રતિમા અદભુત સુરક્ષા શક્તિનું પ્રતિક મનાય છે. તો, હાથીની ઝૂકેલી સૂંઢ એ તેની એકાગ્રતાને પ્રદર્શીત કરે છે.
સનાતન ધર્મમાં કોઈપણ શુભ કાર્યમાં સર્વ પ્રથમ શ્રીગણેશની જ પૂજા કરવામાં આવે છે. કારણ કે ગણપતિ એ વિઘ્નોના હરનારા દેવતા મનાય છે. આ ગણેશજી એ ‘ગજ’મુખ છે. અને એટલે જ તે ગજાનનના નામે પણ પૂજાય છે. પણ, શું આપ જાણો છો કે ગજમુખ ગણેશજીની પ્રતિમાની સાથે ગજરાજની પ્રતિમાનું આપના ઘરમાં હોવું કે ધંધા-રોજગારની જગ્યા પર હોવું અત્યંત ફળદાયી બની શકે છે ? આવો, આજે એ જાણીએ કે હાથીની એક પ્રતિમા કેવી રીતે તમારા જીવનમાંથી રાહુદોષનું નિવારણ કરશે અને સાથે આર્થિક સમૃદ્ધિનું આગમન પણ કરાવશે.
શું નિર્દેશ કરે છે હાથીની સૂંઢ ?
⦁ હાથીની ઉપરની તરફ ઉઠેલી સૂંઢ સકારાત્મકતાનું પ્રતિનિધિત્વ કરે છે. હાથીનું આ રીતનું સ્વરૂપ અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. માન્યતા અનુસાર ઘરમાં ઉપરની તરફ ઉઠેલી સૂંઢવાળા હાથીની મૂર્તિ કે ચિત્ર રાખવાથી સુખ સમૃદ્ધિનું આગમન થાય છે.
⦁ હાથીની સૂંઢની સાથે આગળના બે પગ પણ જો ઉપરની તરફ ઉઠેલા હોય તો તેવી પ્રતિમા અદભુત સુરક્ષા શક્તિનું પ્રતિક મનાય છે.
⦁ હાથીની ઝૂકેલી સૂંઢ એ તેની એકાગ્રતાને પ્રદર્શીત કરે છે.
⦁ અંદરની તરફ વળેલી સૂંઢ એ હાથીની સંઘર્ષનો સામનો કરવાની ક્ષમતા અને દીર્ઘાયુષ્ય દર્શાવે છે.
⦁ બે હાથીઓ જો અંદરો અંદર સૂંઢ મીલાવી રહ્યા હોય તો તે દોસ્તી અને સારા સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે.
સંતાનનું સુખ
જે દંપતી સંતાન સુખથી વંચિત છે, અને સંતાનની કામના રાખી રહ્યું છે તેમણે તેમના ઘરમાં સાત હાથીના ઝૂંડવાળી મૂર્તિ રાખવી જોઈએ. આ મૂર્તિ રૂમના ઉત્તર-પૂર્વના ખૂણામાં (ઈશાન કોણમાં) એક ટેબલ પર રાખવી જોઈએ. માન્યતા અનુસાર આ પ્રયોગ ચોક્કસપણે ફળદાયી બનશે.
દેવી લક્ષ્મીની કૃપા
માન્યતા અનુસાર ઘરની ઉત્તર દિશામાં સ્ફટિક કે સફેદ પત્થરમાંથી બનેલ હાથીની મૂર્તિ રાખવાથી સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. અને સાથે જ માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે !
રાહુદોષનું નિવારણ
જે વ્યક્તિ રાહુથી પીડિત છે, જેની કુંડળીમાં પાશ કે સમયોગ છે, જેની કુંડળીમાં રાહુ કર્ક કે સિંહ રાશિમાં છે, તેમણે તેમના ડ્રોઇંગરૂમમાં લાકડી કે ધાતુની હાથીની મૂર્તિ રાખવી જોઇએ. તેનાથી રાહુની ખરાબ અસર ઓછી થવા લાગે છે
કાર્યક્ષેત્રમાં સફળતા
કાર્યક્ષેત્રના મુખ્યદ્વાર પર હાથીના જોડની મૂર્તિ કે ચિત્ર રાખવું જોઈએ. તેનાથી ધંધા-રોજગારને વેગ મળશે. યાદ રાખો, કે હાથીની નીચે ઝૂકેલી સૂંઢવાળી પ્રતિમા ઓફિસ કે કારોબાર માટે સૌથી શ્રેષ્ઠ મનાય છે.
કારકિર્દીમાં પ્રગતિ
જે લોકો કારકિર્દીમાં પ્રગતિની મનશા રાખી રહ્યા છે અથવા તો જેમને સારી નોકરી મેળવવાની ઈચ્છા છે, તેમણે ઘરની ઉત્તર દિશામાં હાથીની એક મૂર્તિ જરૂરથી રાખવી જોઈએ.
ઘરમાં ગજરાજની મૂર્તિ રાખવાના નિયમ
⦁ જો ઘરમાં હાથીની મૂર્તિ રાખી હોય, તો તેનું મુખ રૂમમાં અંદરની તરફ જ હોવું જોઈએ, બહારની તરફ નહીં !
⦁ હાથીની મૂર્તિને ઘરમાં કે કાર્યક્ષેત્રમાં દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ભૂલથી પણ ન રાખવી જોઈએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)