Tv9 Bhakti: શું સતત વધી રહ્યું છે દેવું? દેવું વધારતા યોગને શાંત કરશે આ ઉપાય!
દેવું (Debt) શા માટે લેવું પડે છે? દેવું કેમ ચૂકવી નથી શકાતું? કેટલાક લોકોની કુંડળીમાં જ દેવાના યોગ પણ હોય છે! શું તમારી કુંડળીમાં પણ આવો કોઇ યોગ છે?
કેટલાક લોકોની કુંડળીમાં (Kundali) એવા યોગ કે જેનાથી તેમને નાણાં ઉધાર (Money Borrow) તો મળી જાય છે, પણ પછી, તેઓ તેને પરત નથી ચૂકવી શકતા. કહેવત છે કે દેવું (Debt) કરીને પણ ઘી પીવો. આજે જાણે એ જ ફિલોસોફી અમલમાં આવી રહી છે અને તે છે ક્રેડિટ કાર્ડ. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ એક દેવું જ છે! ઘર, ગાડી બધું જ જોઈએ. તે માટે પણ આપણે લોન લઈએ છીએ. તે પણ એક પ્રકારનું દેવું જ છે. દેવું શા માટે કરવુ પડે છે? દેવું કેમ ચૂકવી નથી શકાતું? કેટલાક લોકોની કુંડળીમાં જ દેવાના યોગ પણ હોય છે! શું તમારી કુંડળીમાં પણ આવો કોઈ યોગ છે?
કોને લેવું પડે છે દેવું?
⦁ જે લોકોનો રાહુ, શનિ ખરાબ હોય અથવા સાથે હોય કે પછી એક જ સ્થાન પર હોય! જેમને મંગળ-રાહુની યુતિ હોય કે પછી મંગળ-શનિની યુતિ હોય. આ એવા લોકો છે કે જે દેવું તો કરી લે છે પણ પછી તેમની સ્થિતિ બગડે છે અને તે લોકો દેવું ઉતારી નથી શકતા.
⦁ જે લોકોની કુંડળીમાં ગુરુ ખરાબ હોય તેમને દેવું લેવાની આદત પડી જાય છે અને આ લોકો તે દેવું ક્યારેય ઉતારતા નથી! એક જણની પાસેથી પૈસા લઈને બીજાને આપે અને બીજા પાસેથી લઈને ત્રીજાને આપે. આમ એકની ટોપી બીજાને પહેરાવે અને આ બધી વસ્તુની અસર પડે છે પરિવાર પર અને પરિવારને તેનો ભોગ બનવું પડે છે.
⦁ મંગળ અને ગુરુ આપને દેવું કરાવશે તો તે તમને થોડા બચાવી પણ લે છે પણ જો મંગળ-શનિ કે મંગળ-રાહુની યુતિ હશે તો તે તમને હેરાન પરેશાન કરી મૂકશે. આ યુતિ જે જાતકની કુંડળીમાં હોય તેના લક્ષણ છે દેખાડાનું જીવન જીવવું. સમાજમાં દેખાડો કરવો. આ પ્રકારની જીવનશૈલી તમને મુશ્કેલીમાં મૂકી દે છે.
⦁ જો તમારામાં ચાલી જશે, થશે, હશે તે પ્રકારની વૃત્તિ હોય તો તે પણ તમને પરેશાન કરી દેશે. દેવું કરીને આ પ્રમાણે વિચારશો તો નુકસાન જ થશે.
⦁ શાપિત કુંડળીવાળાએ દેવું ન કરવું અને જો કરે તો દેવાના પૈસા તેમના જીવનસાથી કે માતાને આપી દેવા. નહીં તો જીવનભર તે દેવું ચૂકવી નહીં શકાય.
⦁ પૈસાદાર લોકો પણ આ આદતનો શિકાર હોય છે. દેવું તો કરી લે છે પણ ચૂકવી નથી શકતા.
સમયસર દેવું ચૂકવવા શું કરવું?
⦁ ઘરમાં કુબેર યંત્ર અને શ્રીયંત્ર બંનેની સાથે સ્થાપના કરવી.
⦁ શ્રીયંત્રની સમક્ષ બેસીને ।। ૐ શ્રીં નમ: ।। મંત્રનો જાપ કરવો.
⦁ સવારે સૂર્યોદય સમયે, મધ્યાહનમાં અને સંધ્યા સમયે દીપક અવશ્ય પ્રજવલિત કરવો.
⦁ તમારા ઇષ્ટદેવના મંત્રનો જાપ કરવો.
⦁ બાથરૂમમમાં ક્યારેય ખુલ્લા પગે ન જવું.
⦁ અઠવાડિયામાં એક દિવસ અને એ પણ શુક્રવારે સફેદ કપડામાં અક્ષત ઉમેરી તેનું દાન કરી દેવા.
⦁ ઇંટોનું દાન અવશ્ય કરવું જોઇએ. જો તમે ઇંટોનું દાન ન કરી શકો તો એક ઇંટ લઇને તેના નાના-નાના ટુકડા કરીને એક વાસણમાં દબાવીને ભરીને અવાવરી જગ્યા પર જઇને તે વાસણ ખાડામાં દબાવીને મૂકી દેવું.
⦁ જો આપના જીવનમાં દેવાના કારણે વધુ પરેશાની હોય તો વિષ્ણુજીને પ્રણામ કરીને હળદરનું તિલક કરી ત્રણ વાર નિયમિત રૂપે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો. તેના દ્વારા હિંમત મળશે તેમજ દેવું ભરપાઈ કરવામાં સફળતા પ્રાપ્ત થશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)