જો જો કાગ કે શ્વાનને ભૂલથી પણ ન કરતાં નિરાશ, નહીં તો પિતૃઓ થઈ જશે નારાજ !
પિતૃ પક્ષમાં (pitru paksha) પિતૃઓ આપણને ગમે તે રૂપમાં દર્શન દેતા હોય છે. માનવામાં આવે છે કે આપણે પિતૃ પક્ષમાં ક્યારેય ગાય, શ્વાન કે કાગને નુકસાન ન પહોંચાડવું જોઇએ. તેમને ક્યારેય નિરાશ ન કરવા જોઇએ.
હિન્દુ ધર્મમાં (Hindu dharm) પિતૃ પક્ષનું (Pitru paksh) એટલે કે શ્રાદ્ધ પક્ષનું (Shradh paksh) વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ દરમ્યાન પૂર્વજોની તૃપ્તિ માટે પૂજા કરવામાં આવે છે. જેને શ્રાદ્ધકર્મ કહેવામાં આવે છે. શ્રાદ્ધ કર્મકાંડ પ્રાચીન સમયથી ચાલતું આવ્યું છે. શુદ્ધ અને શીતળ મનથી શ્રાદ્ધકર્મ કે તર્પણ કરવામાં આવે તો પિતૃઓને શાંતિની પ્રાપ્તિ થાય છે. અને તેમના શુભાશિષ આપની પર સદૈવ વરસતા રહે છે. શાસ્ત્રો અનુસાર માનીએ તો પિતૃપક્ષ દરમ્યાન પિતૃઓ ધરતી પર આવે છે.
એક માન્યતા તો એવી પણ છે કે પિતૃઓનો સંબંધ પ્રકૃતિ સાથે છે. કહે છે કે પિતૃ પક્ષ દરમ્યાન પિતૃઓ આપણી સમક્ષ કોઇને કોઇ રૂપમાં અવશ્ય આવે છે. એટલે જ આ સમય દરમ્યાન ઘરમાં આવેલ કોઇપણ પશુ, પક્ષી, ગરીબ, કે દુ:ખિયારાને ક્યારેય અનાદર ન કરવો તેમને બિલકુલ નિરાશ ન કરવા તેમની મદદ અવશ્ય કરવી. તો ચાલો આજે આપને એ જણાવીએ કે પિતૃઓ આપણી સમક્ષ કયા-કયા રૂપમાં આવી શકે છે !
કાગ
પિતૃ પક્ષ દરમ્યાન ઘર કે ઘરની છત પર આપણે કાગને કંઇપણ ખવડાવ્યા વિના ન ઉડાડવા જોઇએ. કાગને કોઇપણ પ્રકારનું અનાજ કે દાણાં અવશ્ય ખવડાવવા જોઇએ. તેના પર ગુસ્સો કરવો કે ઉડાડવા ન જોઇએ. તેમ કરવાથી પિતૃઓ નારાજ થઇ શકે છે. આપને ભવિષ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પિતૃપક્ષ દરમ્યાન પિતૃઓને કાગ સ્વરૂપે અન્ન ગ્રહણ કરાવવું જોઇએ. તેનાથી તેમની આત્માની તૃપ્તિ થાય છે. સાથે જ પરિવારના લોકોને તેમના આશીર્વાદ પણ મળે છે. ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઊર્જાનો માહોલ સર્જાય છે.
શ્વાન-ગાય
શ્વાનને યમના દૂત માનવામાં આવે છે. આપને એ પણ જણાવી દઇએ કે શ્રાદ્ધ પક્ષ દરમ્યાન પંચબલી ભોગ લગાવવો જોઇએ. આ ભોગમાં શ્વાન અને ગાયના નામનો પણ ભોગ લગાવી શકાય છે. એટલા માટે જ પિતૃપક્ષના સમયમાં ગાય અને શ્વાન ઘર પર આવે છે તો તે શુભ ફળ આપનાર સાબિત થાય છે. તેમને અનાજ કે કોઇપણ પ્રકારનું ખાવાનું અર્પણ કરો. તેમને ઘરની આસપાસ પણ જોવો તો તેમનો તિરસ્કાર ન કરો તેમને સમ્માન આપો. પિતૃ પક્ષમાં ગાય માતાની સેવા કરવાથી પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે. તેનાથી આપની પર સદૈવ આપના પિતૃઓના આશિષ વરસતા રહેશે.
જરૂરિયાતમંદને મદદ
પિતૃપક્ષ દરમ્યાન ઘર આવેલ મહેમાન, ગરીબ કે લાચાર વ્યક્તિઓને ધુત્કારવા નહીં. માન્યતા તો એવી પણ છે કે પિતૃઓ કોઇપણ રૂપમાં આપને દર્શન દેવા આવી શકે છે. આ સમય દરમ્યાન આ લોકોને સમ્માન આપવું જોઇએ. તેમને જરૂરિયાતની વસ્તુઓ સાથે થોડી દક્ષિણા પણ આપવી જોઇએ. તેમને ક્યારેય ખાલી હાથ પાછા ન કાઢવા. કહેવાય છે કે પિતૃઓ આ રીતે આપની પરીક્ષા લેતા હોય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)