આ રીતે કરી લો મોહિની એકાદશીનું વ્રત, નહીં અપૂર્ણ રહે કોઈ મનોરથ !
મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ વ્રત આરોગ્ય અને ધનપ્રાપ્તિના લાભમાં વૃદ્ધિ કરનારું મનાય છે. કહે છે કે જે વ્યક્તિ આસ્થા સાથે આ વ્રત કરી લે છે, તેની કોઈ જ કામના અપૂર્ણ નથી રહેતી.
ધાર્મિક શાસ્ત્રો અનુસાર એકાદશીનું (Ekadashi) વ્રત કરવાથી જીવનમાં શુભતા આવે છે. એકાદશીનું વ્રત એ જીવનની તમામ મનોકામનાની પૂર્તિ કરનારું મનાય છે. તો સાથે જ તેનાથી આરોગ્ય અને ધનપ્રાપ્તિના લાભમાં પણ વધારો થાય છે. વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને મોહિની એકાદશીના નામે ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર અસુરો પાસેથી અમૃત કળશ લઇને દેવતાઓ સુધી તે કળશ પહોંચાડવા ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું. અને કહે છે કે તે રૂપ એટલે કે મોહિની અવતાર તેમણે મોહિની એકાદશીના દિવસે જ ધારણ કર્યો હતો.
વર્ષ દરમ્યાન કુલ 24 એકાદશી આવે છે. દરેક એકાદશીને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. એકાદશીનું વ્રત એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તો ચાલો જાણીએ કે ક્યારે છે મોહિની એકાદશી ? અને કઈ વિશેષ વિધિ સાથે આ વ્રત કરવાથી શ્રેષ્ઠ ફળની થાય છે પ્રાપ્તિ ? સાથે જ શ્રીવિષ્ણુની કૃપા પ્રાપ્ત કરાવનારા ઉપાયો વિશે પણ આજે આપણે માહિતી મેળવીશું.
મોહિની એકાદશીની તારીખ, શુભ મુહૂર્ત
12 મે, 2022 ગુરુવારના દિવસે મોહિની એકાદશીનું વ્રત કરવામાં આવશે.
એકાદશીની તિથિનો પ્રારંભ બુધવારે 11 મે, 2022ની સાંજે 7:32 કલાકે થશે. અને તિથિની સમાપ્તિ ગુરુવારે 12 મે, 2022ના રોજ સાંજે 6:51 કલાકે થશે.
એકાદશીનું વ્રત 12 મે, ગુરુવારના રોજ કરવું. અને તેના પારણા 13 મે, શુક્રવારના રોજ સૂર્યોદય પછી કરવા.
પારણાંનો સમય સવારે 5:32 કલાકથી શરૂ કરીને સવારે 8:14 સુધીનો રહેશે.
દ્વાદશીની તિથિનું સમાપન 13 મે, શુક્રવારના રોજ સાંજે 5:42 કલાકે થશે.
મોહિની એકાદશીની પૂજા વિધિ
⦁ મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
⦁ આ દિવસે બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્ય કર્યા બાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા.
⦁ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરીને વ્રતનો સંકલ્પ કરવો.
⦁ પૂજા સ્થળ પર ભગવાન વિષ્ણુની પ્રતિમા કે ચિત્રને સ્થાપિત કરી પંચામૃતથી સ્નાન કરાવો.
⦁ ભગવાન વિષ્ણુને ધૂપ-દીપ, ફળ-પુષ્પ, નૈવેદ્ય અને તુલસીદળ અર્પણ કરો.
⦁ પૂજા દરમ્યાન ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો.
⦁ પૂજા દરમ્યાન એકાદશી વ્રત કથા વાંચો અને આરતી પણ કરો.
⦁ એકાદશીના વ્રતના પારણાં દ્વાદશીની તિથિએ કરો.
⦁ જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન દક્ષિણા આપો.
મોહિની એકાદશીના વ્રતના નિયમો
⦁ એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા.
⦁ એકાદશીએ દાઢી, મૂંછ કે નખ ન કાપવા.
⦁ અગિયારસના રોજ બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું.
⦁ આ તિથિએ વ્રત ન કરી શકો તો વાંધો નહીં. પરંતુ, ચોખા તો ગ્રહણ ન જ કરવા. તે જ રીતે ચોખામાંથી બનેલ વસ્તુનું દાન પણ ન કરવું.
⦁ તામસી વસ્તુઓથી દૂર રહેવું.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)