MONEY9: 2022માં ચાંદીમાં રોકાણથી માલામાલ થઈ જવાશે?
ભારતીય બજારમાં આવતા એક વર્ષમાં ચાંદીનો ભાવ 70થી 75 હજાર રૂપિયા પ્રતિ કિલો જોવા મળી શકે છે. ધ્યાન રાખો કે ચાંદીનો હાલનો ભાવ 63,000 રૂપિયા પ્રતિ કિલોની ઉપર ચાલી રહ્યો છે.
કોવિડના ડરથી શેર બજારમાં ઉતાર–ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું (Gold) લાંબા સમયથી એક રેન્જમાં ફરી રહ્યું છે. ત્યારે ચાંદી (Silver)માં રોકાણ (Investment)ની નવી તક દેખાઈ રહી છે. ચાંદી પર મોતીલાલ ઓસવાલના હાલના રિપોર્ટમાં એક સારી તેજીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતા 12 મહિનામાં ચાંદીની કિંમતમાં 30 ટકા સુધીનો વધારો થઈ શકે છે. ગ્લોબલ માર્કેટમાં ચાંદીનો હાલનો ભાવ 23 ડૉલર પ્રતિ ઔંસની નજીક છે, જેના 30 ડૉલર સુધી પહોંચવાની આશા છે.
શું છે તેજીનું કારણ?
દુનિયાભરમાં ગ્રીન ટેક્નોલૉજી અને સ્વચ્છ ઈંધણની માંગ વધી રહી છે. આનાથી ચાંદીની ઔદ્યોગિક માંગ વધશે અને કિંમતોને ટેકો મળી શકે છે. દુનિયાભરમાં ચાંદીનો જેટલો વપરાશ થાય છે. તેમાં અડધાથી વધુ ભાગીદારી ઔદ્યોગિક માંગની રહે છે. સિલ્વર ઈન્સ્ટીટ્યૂટનો વર્લ્ડ સિલ્વર સર્વે જણાવે છે કે 2021માં દુનિયાભરમાં કુલ 32,627 ટન ચાંદીનો વપરાશ થયો. જેમાં 15,807 ટન ઈન્ડસ્ટ્રીયલ માંગ હતી. બાકી હિસ્સેદારી જ્વેલરી, સજાવટનો સામાન, વાસણ એટલે કે સિલ્વરવેર અને રોકાણ માટેની હતી.
સિલ્વર ઈન્સ્ટીટ્યૂટના રિપોર્ટમાં 2022 દરમિયાન ચાંદીની ઈન્ડસ્ટ્રીયલ માંગમાં ફક્ત 6 ટકા વધારાનું અનુમાન લગાવાયું છે તો જ્વેલરી તથા સિલ્વરવેરની માંગમાં જોરદાર વધારાનું અનુમાન છે. સિલ્વરવેરની માંગ 23 ટકા વધીને 1,639 ટન અને જ્વેલરીની માંગ 11 ટકા વધીને 6,275 ટન રહેવાનું અનુમાન છે. આ વધેલી માંગ પણ ચાંદીની કિંમતોને ટેકો આપી શકે છે.
ભારતમાં ચાંદીનો ઉપયોગ જ્વેલરી તરીકે પણ થાય છે. દુનિયાભરમાં ચાંદીની જેટલી જ્વેલરી બને છે તેનો લગભગ ત્રીજો હિસ્સો ભારતનો છે. આ ઉપરાંત, સિલ્વરવેર તરીકે ઉપયોગમાં લેવાતી ચાંદીમાં ભારતની હિસ્સેદારી 50 ટકાથી વધુ છે. એટલે કે વૈશ્વિક સ્તરે 2022 દરમિયાન ચાંદીનો વપરાશ વધવાથી કિંમત વધશે તો તેમાં ભારતનો ફાળો ઘણો મોટો હશે. માંગ આપૂર્તિના આ સમીકરણમાં એક નેગેટિવ પરિબળ પણ છે. ચાંદીની કુલ માંગમાં અડધાથી વધુ હિસ્સો રાખનારી ઔદ્યોગિક માંગને ક્યાંક કોવિડની નજર ન લાગી જાય. એટલે કે ઔદ્યોગિક માંગથી ચાંદીની કિંમતોને ટેકો મળશે. આ ચીન, જાપાન અને અમેરિકાની હાલત પર પણ આધાર રાખશે. કારણ કે બે તૃતીયાંશથી વધુ ચાંદીનો ઉપયોગ આ ત્રણ દેશોમાં જ થાય છે.
ચીન હાલ કોરોના સંકટમાં ફસાયું છે. અમેરિકામાં જીડીપી ગ્રોથ ઘટવા લાગ્યો છે. બાકી બચ્યું જાપાન તો જાપાન સહિત આખી દુનિયા મોંઘવારીનો સામનો તો કરી જ રહી છે. જ્યાં સુધી આ પડકારોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ઈન્ડસ્ટ્રીયલ માંગ વધવાની આશા રાખવી વ્યર્થ છે. એટલે કે કુલ મળીને વાત એ છે કે જો કોવિડને કારણે મોટા અર્થતંત્રોમાં લૉકડાઉન નહીં લાગે તો ચાંદીના માર્કેટની ચમક 2022માં વધી શકે છે.
તો પછી શું કરવું રોકાણકારે?
કોમોડિટી બજારના નિષ્ણાંત અનુજ ગુપ્તા જણાવે છે કે રોકાણ કરવા માટે ચાંદી સારો વિકલ્પ હોઈ શકે છે. ભારતીય બજારમાં આવતા એક વર્ષમાં ચાંદીનો ભાવ 70થી 75 હજાર રૂપિયા પ્રતિ કિલો જોવા મળી શકે છે. ધ્યાન રાખો કે ચાંદીનો હાલનો ભાવ 63,000 રૂપિયા પ્રતિ કિલોની ઉપર ચાલી રહ્યો છે.