અમદાવાદના વિરમગામના માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા હતા.જો કે બાદમાં 17 દર્દીઓ તરફથી દેખાતુ ન હોવાની ફરિયાદ ઉઠી હતી. આ કેસમાં SITનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તપાસમાં ટ્રસ્ટ કક્ષાએ ગંભીર ક્ષતિઓ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના વિરમગામ અંધાપા કાંડ મામલે SITનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો છે. 9 નિષ્ણાત સભ્યોની સમિતિના અહેવાલમાં ગાઇડલાઇનનું પાલન નહીં થયાની વિગત સામે આવી છે. માળખાકીય સુવિધાઓ, કવોલીફાઈડ સ્ટાફ, રેકર્ડ જાળવણીમાં પણ ગંભીર ક્ષતિ સામે આવી છે. ઓપરેશન થિયેટર પ્રોટોકોલમાં ગંભીર ક્ષતિઓ હોવાનો પણ ખુલાસો થયો છે. ચેપ લાગ્યાની ઘટના બાદ લેવામાં આવેલા પગલામાં પણ ગંભીર ક્ષતિઓ સામે આવી છે.
નેત્ર સર્જન ડૉ. જયમીન પંડ્યાએ ગાઈડલાઇન મુજબ કાર્યવાહી ન કરી હોવાનો પણ ખુલાસો અહેવાલમાં ખુલાસો થયો છે.જે પછી નેત્ર સર્જન વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મહત્વનું છે કે અમદાવાદના માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા હતા. 17 જેટલા દર્દીએ પોતાની આંખની અંદર ઝાંખપ આવી ગઈ હોવાનું તેમજ ઓપરેશન બાદ આંખમાંથી પાણી નીકળી રહ્યું હોવાની સાથે આંખો સૂજી ગઈ હતી.
હોસ્પિટલના ડોક્ટર સહિત સંચાલક ટીમે 28 પૈકી 17 દર્દીને હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે દાખલ થવાની સૂચના આપી હતી. સ્થાનિક ડૉક્ટરે ફરીવાર તમામ દર્દીની તપાસ કરતા 17માંથી પાંચેક જેટલા દર્દીને આંખમાં વધારે અસર હોવાનું જણાતા તેમને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે 12 દર્દીને માંડલની હોસ્પિટલમાં જ ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે.
Published On - 2:55 pm, Wed, 21 February 24