શ્રમિક સુવિધા કેન્દ્રો વિવાદમાં : ઉનાળાની ગરમીમાં શ્રમિકો માટે નથી પીવાના પાણીની વ્યવસ્થા, શ્રમિકો ત્રસ્ત

| Edited By: | Updated on: Mar 10, 2026 | 4:45 PM

વડોદરામાં શ્રમિકોને ગરમીથી રાહત આપવા માટે શરૂ કરાયેલા સુવિધા કેન્દ્રોમાં પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ જોવા મળતા વિવાદ વકર્યો છે. શ્રમિકોએ માત્ર ઓટલા અને શેડ સિવાય પાણી જેવી પાયાની જરૂરિયાત પૂરી પાડવા માગ કરી છે.

ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા શ્રમિકોના હિત માટે લેવાયેલો નિર્ણય હાલ વિવાદમાં સપડાયો છે. મનપાએ શહેરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કામ કરતાં શ્રમિકોને વિસામો મળી રહે તે હેતુથી ‘શ્રમિક સુવિધા કેન્દ્રો’ શરૂ કર્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાનો આરોપ શ્રમિકો લગાવી રહ્યા છે.

માત્ર શેડ અને ઓટલા, સુવિધાના નામે ઠનઠનપાલ!

વડોદરામાં હાલમાં ત્રણ સ્થળોએ આ સુવિધા કેન્દ્રો ખુલ્લા મુકવામાં આવ્યા છે. જોકે, આ કેન્દ્રો પર વિસામો લેવા પહોંચતા શ્રમિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શ્રમિકોનો આક્ષેપ છે કે અહીં માત્ર સિમેન્ટના ઓટલા અને ઉપર શેડ જ બનાવવામાં આવ્યા છે. ધોમધખતા તાપમાં શ્રમિકો માટે પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી. શ્રમિકોનું કહેવું છે કે જો પાણી અને પાયાની સુવિધાઓ જ ન હોય તો તેને ‘સુવિધા કેન્દ્ર’ કેવી રીતે કહી શકાય?

નવા 7 કેન્દ્રોનું આયોજન અને કમિશનરનું આશ્વાસન

મહત્વનું છે કે આ વર્ષના બજેટમાં કરાયેલી જાહેરાત અનુસાર આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વધુ 7 નવા શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવાનું આયોજન છે. શ્રમિકોના વિરોધ અને માગણીઓ બાદ મ્યુનિસિપલ કમિશનરે નિવેદન આપ્યું છે કે, શ્રમિકોની જરૂરિયાત મુજબ આગામી સમયમાં આ કેન્દ્રોમાં પાણી સહિતની અન્ય જરૂરી સુવિધાઓનો ઉમેરો કરવામાં આવશે.

હાલ તો ઉમદા હેતુથી શરૂ કરાયેલી આ યોજના અમલીકરણના અભાવે વિવાદનું કેન્દ્ર બની છે. શ્રમિકોની સ્પષ્ટ માગ છે કે માત્ર બજેટના આંકડા પોષવાને બદલે જમીની સ્તર પર પીવાના પાણી અને અન્ય પાયાની સુવિધાઓ તાકીદે શરૂ કરવામાં આવે.

ઈરાન સંકટ વચ્ચે LPG ગ્રાહકો માટે માઠા સમાચાર, જાણો આની પાછળનું ગણિત!, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.