Vadodara: જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ લીધો અધિકારીઓનો ઉધડો, વરસાદ બાદ તારાજી માટે તંત્રને ઠેરવ્યું જવાબદાર
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી સંકલન સમિતીની બેઠકમાં ધારાસભ્યોએ તંત્રના અધિકારીઓનો ઉધડો લીધો હતો. વરસાદ બાદ સર્જાયેલી તારાજી માટે અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
વડોદરા (Vadodara) જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી સંકલન સમિતીની બેઠકમાં ધારાસભ્યોએ તંત્રના અધિકારીઓનો ઉધડો લીધો હતો. વરસાદ બાદ સર્જાયેલી તારાજી માટે અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ડભોઇમાં ભારે વરસાદ બાદ રેલવે દ્વારા નાખવામાં આવેલી લાઈનના કારણે પાણી નિકાલના તમામ સ્ત્રોતો બંધ થઈ ગયા હતા. જેના કારણે ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણી માટે રેલવે તંત્ર જવાબદાર હોવાનું ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું. કારવણ પાસે બનાવવામાં આવેલા અંડરપાસમાં 15 ફૂટ પાણી ભરાયું હતું. જેના લીધે લોકોની અવરજવરનો માર્ગ બંધ થતાં ગામો સંપર્ક વિહોણા થયા છે.
સેજપુરમાં એક સગીરાનું સારવારના અભાવે થયેલા મોત અંગે પણ સંકલનમાં મુદ્દો ઉઠ્યો હતો. એક્સપ્રેસ-વે ના કારણે દેવ અને ઢાઢર નદીના પાણી ડાયવર્ટ કરાતાં ગામોમાં પૂરના પાણી ફરી વળ્યું હતું. ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ, તુવેરનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે તાત્કાલિક સર્વે હાથ ધરી ખેડૂતોને સહાય ચૂકવવા પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે માગ કરી હતી.