લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો રાજ્ય સરકાર કરશે પ્રારંભ, અત્યારસુધી 2 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી
રાજ્ય સરકાર લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે. સરકાર મણના 1110 રૂપિયા લેખે મગફળી ખેડૂતો પાસેથી ખરીદશે. ટેકાના ભાવે ખરીદી માટે 1 ઓક્ટોબરથી ખેડૂત આઈ પોર્ટલ પરથી નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ હતી.
દિવાળી પૂર્વે ખેડૂતો માટે આવ્યા છે આનંદના સમાચાર. રાજ્ય સરકાર લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે. સરકાર મણના 1110 રૂપિયા લેખે મગફળી ખેડૂતો પાસેથી ખરીદશે. ટેકાના ભાવે ખરીદી માટે 1 ઓક્ટોબરથી ખેડૂત આઈ પોર્ટલ પરથી નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં 2 લાખ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે. સરકારે ખાતરી આપી છે મગફળીની ખરીદી થયા બાદ ઝડપથી નાણાં ખેડૂતોને ચુકવવામાં આવશે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં જણસીની ધૂમ આવક
નોંધનીય છેકે રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં દિવાળીના તહેવારોમાં જણસીની ધૂમ આવક થઇ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક નોંધાઇ છે. ગઈકાલ રાતથી માર્કેટિંગ યાર્ડની બહાર મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી છે. અંદાજે 5 થી 6 કિલોમીટર મગફળી ભરેલા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1અંદાજે 1 લાખ 20 હજાર ગુણીની આવક નોંધાઇ છે. આ વખતે હરાજીમાં મગફળી ભાવના 20 કિલોના 800 થી 1250 સુધીના ભાવ બોલાયા હતા. દિવાળી પર્વમાં 7 દિવસની જાહેર રજાને લઈને મગફળીની મબલખ આવક જોવા મળી હતી.