પાલનપુરથી પાટણને જોડતો માર્ગ છેલ્લા 11 વર્ષથી બિસમાર હાલતમાં, ખાડા વચ્ચે બચ્યો છે નજીવો રોડ- જૂઓ Video
બનાસકાંઠાથી પાલનપુરના કાણોદરથી મેતા, ચાંગા અને પાટણને જોડતો રોડ છેલ્લા 11 વર્ષથી બિસમાર હાલતમાં છે. આ રોડ પર અસંખ્ય ખાડા અને ઠેર ઠેર પાણી ભરાયેલા છે. છતા તંત્ર દ્વારા સ્થાનિકોની આ સમસ્યા પરત્વે આંખ આડા કાન કરાઈ રહ્યા છે.
ચોમાસા દરમિયાન બનાસકાંઠામાં રોડ બિસ્માર બન્યા હોય આવું તો, અનેક વખત સાંભળ્યું હશે પરંતુ, છેલ્લા 11 વર્ષથી રોડ જ નહીં બન્યો હોવાની રાવ પણ હવે સામે આવી છે. પાલનપુરના કાણોદરથી મેતા, ચાંગા અને પાટણને જોડતો માર્ગ 11 વર્ષથી ખરાબ હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડા-ખાબોચિયા છે. રસ્તામાં ખાડા નહીં, ખાડામાં રસ્તા છે. જેમાં વરસાદનું પાણી ભરાઇ જાય છે. શાળાએ જતા બાળકો હોય, રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. અનેક વાહન ચાલકો પણ અહીં પટકાઇ ચૂક્યા છે. છતાં,હજી સુધી તંત્ર પૂછવા નથી આવ્યું. તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. 11 વર્ષ પહેલા રોડ બન્યો હતો અને ત્યાંના લોકોએ અનેક રજૂઆત કરી પરંતુ કોઇ જ કામગીરી નથી થઇ. ત્યારે, સ્થાનિકો માગ કરી રહ્યા છે કે હવે, તો તંત્ર તેમને રોડ બનાવી આપે.
સ્થાનિક સરપંચ અને ઉપસરપંચના જણાવ્યા મુજબ લાંબા સમયથી આ રોડ બિસ્માર હાલતમાં છે. જો તંત્ર દ્વારા રોડને થોડો ઉંચો લઈ લેવામાં આવે તો રોડ પર પાણી ભરાવાની સમસ્યાનો અંત આવે. છેલ્લા 11વર્ષથી અહીં ના તો નવો રોડ બનાવવામાં આવ્યો છે ના તો તેનુ સમારકામ કરવામાં આવે છે. વડગામ અને પાલનપુર તાલુકામાં આ જ પ્રકારના બિસ્માર હાલતમાં રોડ જોવા મળી રહ્યા છે, જેવી ભોગ સ્થાનિકો બની રહ્યા છે. અવારનવાર અકસ્માતનો ભોગ બને છે.
Input Credit- Atul Trivedi- Banaskantha