સુરેન્દ્રનગર: પાટડીની શાળામાં બાળકોને ક્લાસરૂમમાં પુરી દેવા મામલે શાળાના આચાર્ય અને શિક્ષકોને ફટકારાઈ શો કોઝ નોટિસ- વીડિયો
સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને 12 વાગ્યે રજાના સમયે ક્લાસરૂમને તાળુ મારીને નીકળી જતા બાળકોએ રોકકળ કરી મુકી હતી. આ ઘોર બેદરકારી બદલ જિલ્લા શિક્ષણસમિતિએ શાળાના આચાર્ય અને શિક્ષકોને કારણ દર્શક નોટિસ ફટકારી જવાબ માગ્યો છે.
સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકોને પુરીને શિક્ષકો જતા રહ્યા હોવાની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરણ 1 અને 2ના બાળકો તેમના વર્ગખંડમાં હતા અને શાળા છુટવાના સમયે શિક્ષકો વર્ગખંડને તાળુ મારીને નીકળી ગયા હતા. વર્ગખંડને તાળુ મારી જતા અંદર રહેલા ભૂલકાઓ અત્યંત ડરી ગયા હતા અને રડવા લાગ્યા હતા. આ તરફ બાળકો શાળાએથી ઘરે ન આવતા વાલીઓ પણ હાંફળાફાંફળા શાળાએ દોડી ગયા હતા.
શાળામાંથી બાળકોનો રડવાનો અવાજ બહાર સંભળાતો હોવાથી વાલીઓએ અને અન્ય ગ્રામજનોએ તાળા તોડી બાળકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનાને પગલે વાલીઓેએ શિક્ષકો સામે કડક પગલા લેવાની માગ કરી છે. આ ઘટનાને પગલે બાળકો અત્યંત ડરી ગયા હતા અને ટ્રોમેટિક સ્થિતિમાં આવી ગયા હતા. કેટલાક ભૂલકાઓ બેભાન જેવી સ્થિતિમાં જોવા મળ્યા હતા. આ ઘટનાની ગંભીર નોંધ લઈ હાલ જિલ્લા શિક્ષણ સમિતિએ શાળાના આચાર્ય અને શિક્ષકોને શો કોઝ નોટિસ ફટકારી છે.
આ ઘટના અંગે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સરકારી શાળાઓના સ્તર પર સવાલ ઉઠાવ્યા અને તેમણે આરોપ લગાવ્યો કે આવુ અનેક સરકારી શાળાઓમાં બને છે આ માત્ર એક ઘટના નથી. અનેક એવી સરકારી શાળાઓ છે જ્યાં શિક્ષકો આવીને હાજરી પુરીને જતા રહે છે, ક્યાંક ડમી શિક્ષકો ફરજ બજાવતા હોય છે. રાજ્યની સરકારી શાળાઓને તાળા લાગે તેવી સ્થિતિ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.