રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદના કારણે અનેક સ્થળો પાણી-પાણી થયા છે. ઉપલેટાની ટી.જે. કન્યા વિદ્યાલયમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. શાળાના વર્ગોમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓનું ભણતર પ્રભાવિત થયું હતું.
શાળાના ક્લાસરૂમ, પુસ્તકાલય, સ્ટાફરૂમ સહિતના જગ્યાઓ પર વરસાદી પાણી ઘૂસ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓના ચોપડા પણ પલળ્યા. તાજેતરમાં શાળામાં ફીટ કરેલા પેવર બ્લોકના કારણે શાળાના રૂમમાં પાણી ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે. શિક્ષકોનો આરોપ છે કે પેવર બ્લોક કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી નથી. જેના કારણે ચોમાસામાં શાળાની અવદશા થઈ જાય છે.
જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફલો થયો છે. જામનગર અને ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. જીવાદોરી સમાન ડેમ છલકાતા વિપક્ષના સભ્યોએ નીરના વધામણા કર્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના વિપક્ષી નેતાઓએ નવા નીરના વધામણાં કર્યા છે. રણજીત સાગર ડેમ જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે. ડેમ છલકાતાં જામનગરની પીવાના પાણીની સમસ્યા નહીં થાય તેવી સંભાવના છે. જેના પગલે સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છે.