Rajkot : ઉપલેટામાં ગઢાળા ગામ નજીક મોજ નદીનો કોઝવે છ દિવસથી પાણીમાં ગરકાવ, લોકો પરેશાન
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા મોજ નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં ગઢાળાથી ઉપલેટા, ખાખી જાડિયા, ભાયાવદર તરફ જવામાં લોકોને હાલાકી પડી રહી છે
રાજકોટ(Rajkot)જિલ્લાના ઉપલેટા(Upleta)તાલુકાના ગઢાળા ગામ તરફ જતો મોજ નદીનો કોઝવે(Moj River) સતત છ દિવસથી પાણીમાં ગરકાવ થયો છે. જેમાં મોજ ડેમમાંથી પાણી છોડાતા મોજ નદી ગાંડીતૂર બની છે. તેમજ મોજ નદીના પ્રવાહને લઇને કોઝવે બંધ થયો છે.
ગઢાળા મોજ નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં ગઢાળાથી ઉપલેટા, ખાખી જાડિયા, ભાયાવદર તરફ જવામાં લોકોને હાલાકી પડી રહી છે. તેમજ સ્થાનિકોએ અનેક વખત કોઝવેને ઉંચો લેવા માટે તંત્રને રજૂઆત કરી છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી
આ ઉપરાંત ઉપલેટા તાલુકાના ગાધાં ગામમાં થોડા દિવસ અગાઉ પડેલા ભારે વરસાદને કારણે નદીનાં પાણી ખેતરોમાં ફરી વળતાં ખેતરોમાં ઉભા પાક ધોવાઈ ગયા છે. મોજ ડેમ, ભાદર ડેમ અને વેણુ ડેમ છલકાવાને કારણે તેમનાં પાણી ખેતરોમાં ઘૂસી ગયાં અને કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાકોનાં ધોવાણ કરી નાખ્યા છે.
હવે ખેતરોમાં પાણી તો ઓસરી ગયાં છે, પરંતુ પાણીએ સર્જેલી તારાજી બાદ ખેડૂતો પાયમાલ થવા જેવી સ્થિતિમાં આવી પડ્યા છે… ખેડૂતોએ તાત્કાલિક સરવે યોજીને જરૂરી સહાય કરવાની સરકારને માંગ કરી છે…
જ્યારે ઉપલેટા તાલુકાના ઈસરા ગામ નજીક આવેલા ભદ્રેશ્વર ચેકડેમમાં ભંગાણ પડતાં ચેકડેમનું પાણી ખેતરોમાં ઘૂસી જવાથી ખેડૂતોને મુશ્કેલી ઉભી થઈ છે. ખેતરોમાં ચેકડેમનું પાણી ફરી વળતાં પાકને નુક્સાન થવાથી ખેડૂતોને પણ આર્થિક નુક્સાન થયું છે.
ખેડૂતોએ ચેકડેમ તાત્કાલિક ધોરણે રિપેર કરી આપવા તંત્રને રજૂઆત કરી હોવા છતાં તંત્રએ કોઈ પગલાં ન લેતાં ખેડૂતોએ જાતે જ ચેકડેમનું સમારકામ કરવું શરૂ કર્યું હતું અને સુત્રોચ્ચાર કરીને સરકાર વિરૂદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપથી હાથ ધરવા બેઠક
આ પણ વાંચો : શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ છતાં ભક્તોની ભારે ભીડ