Rajkot: લમ્પી વાયરસે મચાવ્યો કહેર, વાયરસને કારણે 10 ગાયોના મોત થતાં તંત્ર દોડતું થયું
જામનગર બાદ હવે રાજકોટમાં પણ લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે. રાજકોટના આજી ડેમ નજીક થોરાળા વિસ્તારમાં આવેલી વિડીમાં લમ્પી વાયરસને કારણે 10 ગાયોના મોત થતાં તંત્ર દોડતું થયું છે.
Rajkot: જામનગર બાદ હવે રાજકોટમાં પણ લમ્પી વાયરસે (lumpy virus) કહેર મચાવ્યો છે. રાજકોટના આજી ડેમ નજીક (Aji dam) થોરાળા વિસ્તારમાં આવેલી વિડીમાં લમ્પી વાયરસને કારણે 10 ગાયોના મોત થતાં તંત્ર દોડતું થયું છે. તંત્રના અધિકારીઓએ પશુઓનું રસીકરણ કરવાની કવાયત શરૂ કરી છે. બીજી તરફ પશુધનને લમ્પી વાયરસથી કેવી રીતે બચાવવા તેને લઇને પશુપાલકો અને માલધારીઓમાં ચિંતા પ્રવર્તી રહી છે.
મહત્વનું છે કે થોડા દીવસો પહેલા અમરેલીના બાબરા તાલુકાના ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો હતો. ઈશ્વરીયા, કરિયાણા, નાની કુંડળ સહિતના ગામોમાં 10 જેટલા પશુઓના લમ્પી વાયરસના લીધે મોત થયા હતા. જેના પગલે તંત્ર પણ એલર્ટ થયું હતું. હાલ આ વિસ્તારના 60 જેટલા પશુઓ વાયરસના લીધે બીમાર છે. માલધારીઓ દ્વારા સરકારના પશુપાલન વિભાગને જાણ પણ કરવામાં આવી છે. ત્યારે પશુ ડોક્ટર દ્વારા સ્થળ પર તપાસ કરી માલધારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનો કરાયા છે. તેમજ લમ્પી વાયરસને કાબુમાં લેવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.