મહીસાગરમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી: પરીક્ષા પૂરી થયા બાદ સ્વાધ્યાય પોથીઓ વહેંચી, કરોડોનો ખર્ચ પસ્તી સમાન!
મહીસાગર જિલ્લામાં 'પાણી ગયા પછી પાળ બાંધવા' જેવો ઘાટ સર્જાયો છે. ધોરણ-10ની પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને સ્વ-અધ્યયન પોથીઓનું વિતરણ કરતા વહીવટના ધજાગરા ઉડ્યા છે.
મહીસાગર જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાનના અણઘડ વહીવટનો ચોંકાવનારો નમૂનો સામે આવ્યો છે. અહીં ધોરણ-10ના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા હવે સ્વ-અધ્યયન પોથીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરથી આ પોથીઓ મોડી આવતા 14,000 થી વધુ વિદ્યાર્થીઓ માટે તે હવે સાવ બિનઉપયોગી બની ગઈ છે.
મુંબઈની સેફ્રોન સ્પેશ્યલિટી પેપર્સ લિમિટેડ દ્વારા છાપવામાં આવેલી આ પોથીઓ પાછળ સરકારે કરોડોનો ખર્ચ કર્યો હતો, જે હવે માત્ર પસ્તી સમાન બની રહ્યો છે. લુણાવાડા બીઆરસી હિતેન્દ્રસિંહ પુવારના જણાવ્યા મુજબ લુણાવાડામાં જ 3,710 પોથીઓ વહેંચાઈ છે, જ્યારે ખાનપુર સીઆરસી દિલીપ ચૌધરીએ સ્વીકાર્યું છે કે શાળાઓને વિતરણ 20 તારીખે કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે આ મામલે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને જનતાના ટેક્સના પૈસાનો આ રીતે વ્યય શિક્ષણ વિભાગની મોટી નિષ્ફળતા દર્શાવે છે. જે પોથીઓ પરીક્ષાની તૈયારી માટે હતી, તે હવે વિદ્યાર્થીઓને વેકેશનમાં આપવામાં આવતા વહીવટી તંત્રનો ફિયાસ્કો થયો છે.
ખાનગી ક્લિનિકો પર સરકારની લાલ આંખ: ડોક્ટરની ફી થી લઈને ડિગ્રી સુધીની વિગતો હવે ડિસ્પ્લે કરવી પડશે, જાણો નવો ડ્રાફ્ટ શું છે?