Gujarat Election 2022 : વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ બળાબળના પારખા કરવાના મૂડમાં, છેલ્લી તક પુરવાર કરશે ‘કમળ’ મજબૂત કે પોતાનું ‘નામ’
મધુ શ્રી વાસ્તવે કહ્યું કે, ભાજપે ટિકિટ કાપીને મારૂ અપમાન કર્યું છે. મારા સમર્થકો અને કાર્યકરોના કહેવાથી હું અપક્ષ ચૂંટણી મેદાનમાં ઉતર્યો છું.
વડોદરાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. વડોદરાના હનુમાન મંદિરથી દર્શન કરીને મધુ શ્રીવાસ્તવ સમર્થકો સાથે વાઘોડિયા પહોંચ્યા. મધુ શ્રીવાસ્તવ વાઘોડિયામાં રેલી કાઢીને ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કરશે. મધુ શ્રી વાસ્તવે કહ્યું કે, ભાજપે ટિકિટ કાપીને મારૂ અપમાન કર્યું છે. મારા સમર્થકો અને કાર્યકરોના કહેવાથી હું અપક્ષ ચૂંટણી મેદાનમાં ઉતર્યો છું.
મારે ચૂંટણી લડવી જ છે – મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ભાજપે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યાં છે. ત્યારે દબંગ નેતા તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ હવે વાઘોડીયા બેઠક પર અપક્ષમાંથી ચૂંટણી લડશે. ગઈકાલે મધુ શ્રીવાસ્તવ સાથે સી આર પાટીલ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન મધુ શ્રીવાસ્તવએ સ્પષ્ટ કહ્યું હતુ કે, મને છેલ્લી તક આપો, મારે ચૂંટણી લડવી જ છે. મને છેલ્લી ચૂંટણી લડવાની તક આપો. એટલે કે આખરે ભાજપે ટિકિટ ન આપતા નારાજ મધુશ્રીવાસ્તવ માન્યા જ નહીં.
આદિવાસી મતોનો ભાજપને ફટકો પડે તેવી શક્યતા
વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. આ બેઠક પર 1962થી 1985 કોંગ્રેસનો કબજો હતો. જે બાદ 1995થી 2017 સુધી એટલે કે 6 ટર્મથી મધુ શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે. ત્યારે મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે તો આદિવાસી મતોનો ભાજપને ફટકો પડે તેવી શક્યતા છે.