કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
કેસર કેરીના રસીયાઓ માટે કેસરનું હબ ગણાતા તાલાલા ગીરથી માઠા સમાચાર સામે આવ્યા છે. આ વખતે વિષમ વાતાવરણને કારણે ઉત્પાદન ઘટ્યુ છે, જેના કારણે કેરી રસીયાઓને કેરી ઓછી ખાવા મળી શકે છે.
સતત વાતાવરણમાં આવી રહેલા બદલાવની માઠી અસર ગીર સોમનાથ સહિત તાલાલા ગીરમાં કેસર કેરીના ઉત્પાદન પર જોવા મળી છે અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. તાલાલા સહિત ગીર વિસ્તારમાં કેસર કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. જોકે, આ વર્ષે કેરીનું ઉત્પાદન 50 ટકા જેટલું ઘટવાની શક્યતા છે, જેના કારણે કેરી ઉત્પાદક ખેડૂતો ચિંતિત છે. ખેડૂતોના મતે, સતત પ્રતિકૂળ હવામાન અને ગ્લોબલ વોર્મિંગને કારણે કેસર કેરીના પાક પર ગંભીર અસર થઈ છે. ઘણા બગીચાઓમાં પાક ઓછો જોવા મળે છે. ખેડૂતોનું કહેવું છેકે બદલાતા વાતાવરણના કારણે કેરીમાં મોટા પાયે રોગ ફાટી નીકળ્યો છે.
ઉલ્લેખનીય છે કે પહેલા ખેડૂતોએ આંબાવાડીની માવજત પાછળ ખર્ચો કર્યો અને હવે કેરીમાં રોગ આવી જતા વિવિધ જંતુનાશકો પાછળ ખેડૂતોને ખર્ચો થઈ રહ્યો છે. તેમ છતાં ખેડૂતોને નુકસાની જ વેઠવાનો વારો આવે છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતોને કેરીના ભાવ નથી મળી રહ્યા. બીજી તરફ બાગાયત વિભાગ ખેડૂતોને સાવચેતી રાખવા વિવિધ સૂચનાઓ આપી રહ્યો છે. આ સૂચનાઓ સાંભળી અધિકારીઓ પર ખેડૂત આગેવાન લાલઘૂમ થયા અને પાક નુકસાનીના વળતરની માગ કરતા જોવા મળ્યા હતા.
