શેત્રુંજય મહાતીર્થને ખંડિત કરવા સામે જૈન સમાજમાં આક્રોશ, વલસાડમાં સમસ્ત જૈન સંઘ દ્વારા રેલી યોજી કરાયો વિરોધ
વલસાડમાં (Valsad) સમસ્ત જૈન સંઘ દ્વારા પણ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શેત્રુંજય મહાતીર્થને ખંડિત કરવા સામે જૈન સમાજમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.
શેત્રુંજય મહાતીર્થ બચાવવાની માગ સાથે જૈન સમાજની ઠેર ઠેર રેલી યોજાઈ રહી છે. ત્યારે વલસાડમાં સમસ્ત જૈન સંઘ દ્વારા પણ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શેત્રુંજય મહાતીર્થને ખંડિત કરવા સામે જૈન સમાજમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. વલસાડમાં યોજાયેલી રેલીમાં જૈન મુનિ અને મોટી સમાજમાં જૈન સમાજના લોકો જોડાયા હતા. જૈન સમાજના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપીને વિવિધ માગણીઓનો ઝડપથી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.
શું હતો સમગ્ર વિવાદ ?
થોડા દિવસ પહેલા પાલીતાણામાં જૈન મંદિર પર હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળા ગામમાં જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાંને મલિન તત્વો દ્વારા ખંડિત કરવામાં આવ્યા હતા. સાથે મંદિર પર લગાવેલા સીસીટીવી કેમેરા તથા થાંભલાઓ તોડી પાડવામાં આવ્યા. જેને લઇને ગુજરાતભરમાં જૈન સમાજની લાગણી દુભાઈ છે. બીજી તરફ પાલીતાણામાં નીલકંઠ મંદિરમાં પુજારી અને આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે મંદિર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. જયાં મંદિર બહાર પેઢીએ મુકેલા સીસીટીવીમાં શિવ મંદિરના પુજારી અને તેના સાગરીતોએ તોડફોડ કરી હોવાનું સામે આવતા જૈન સમાજના લોકો રોષે ભરાયા હતા.
રાજકોટમાં પણ યોજાઇ રેલી
તો બીજી તરફ આજે રાજકોટમાંથી પણ જૈન સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજકોટના ચૌધરી હાઇસ્કૂલના દેરાસરથી રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જૈન સમાજ દ્વારા ઉગ્ર રીતે આ આંદોલન કરવામાં આવ્યુ હતુ. જૈન સમાજના એક વ્યક્તિ દ્વારા રસ્તા પર આળોટીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જૈન સમાજ દ્વારા શેત્રુંજય મહાતીર્થની સુરક્ષાની માગ કરવામાં આવી હતી.