ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ગુજરાતની 500 કરોડની કેરી પર નુકસાનની ભીતિ, કોંગ્રેસે નિકાસકારો માટે સહાય પેકેજની કરી માગ
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર ખોરવાયો છે. UAE અને ઓમાનના પોર્ટ પર હજારો કન્ટેનર ફસાઈ જતા એક્સપોર્ટર્સને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળાઓ હવે ભારત અને ખાસ કરીને ગુજરાતના એક્સપોર્ટર્સને દઝાડી રહી છે. ગલ્ફ દેશોના પોર્ટ પર સર્જાયેલી અંધાધૂંધીને કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે.
કન્ટેનર અટવાયા, ખર્ચમાં અધધ વધારો
ઓમાન અને UAE ના પોર્ટ પર હાલમાં અંદાજે 29,000 કન્ટેનર અટવાયેલા છે, જેમાં 5,500 થી વધુ કન્ટેનર માત્ર ભારતના છે. આ કન્ટેનરને પરત લાવવા માટે એક્સપોર્ટર્સ પર ₹275 કરોડનો વધારાનો ખર્ચ આવી રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ માંગ કરી છે કે સરકાર આ રિટર્ન ચાર્જ માફ કરે અને વેપારીઓ માટે વિશેષ પેકેજ જાહેર કરે.
ગુજરાતની કેરી અને કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં
આ સંકટની સૌથી વધુ અસર ગુજરાતના કૃષિ અને ગારમેન્ટ ક્ષેત્ર પર પડી છે:
પેરીશેબલ ગુડ્સ: ગલ્ફમાં ફસાયેલા 800 કન્ટેનરમાં ખેતીની જણસો છે, જે બગડવાની અણી પર છે.
કેરીનો વેપાર: ગલ્ફમાં એક્સપોર્ટ થતી ગુજરાતની ₹500 કરોડની કેરી બગડી જવાની આશંકા છે.
ગારમેન્ટ બિઝનેસ: ઈદના તહેવાર સમયે જ કાપડના કન્ટેનર અટવાતા અંદાજે ₹1500 કરોડના બિઝનેસ પર સીધી અસર પડી છે.
જો કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક દખલગીરી કરીને એક્સપોર્ટર્સ માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં નહીં આવે, તો ગુજરાતના અનેક નાના-મોટા વેપારીઓ પાયમાલ થઈ શકે છે.
(ઈનપુટ ક્રેડિટ: નરેન્દ્ર રાઠોડ)