Iran-Israel War Breaking : યુદ્ધની અસર ઊંઝા APMCના વેપાર ઉપર જોવા મળી, મસાલામાં મોટો કડાકો
ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 12મો દિવસ છે.યુદ્ધની સ્થિતિના કારણે નિકાસકારોની સાથે ખેડૂતોને પણ મોટું નુકસાન છે.ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિની અસર ઊંઝા માર્કેટ યાર્ડના વેપાર પર પડી છે.જીરું, ઈસબગુલ અને વરિયાળીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.
મધ્ય પૂર્વના યુદ્ધની અસર ઊંઝા APMCના વેપાર ઉપર જોવા મળી છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની આગમાં મસાલા માર્કેટ શેકાયું છે અને ઊંઝામાં જીરા, વરિયાળી અને ઈસબગુલના ભાવમાં મોટો કડાકો બોલ્યો છે. એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે ઓળખાતું ઊંઝા APMC હાલ ચિંતામાં છે. નિકાસ અટકી છે, કન્ટેનરના ભાડા વધ્યા છે અને ખેડૂતો તેમજ વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા છે.
વેપારીઓનું પેમેન્ટ અટવાયું
ઈરાન, ઈઝરાયેલ અને ખાડી દેશો વચ્ચે વણસેલી સ્થિતિની સીધી અસર ઉત્તર ગુજરાતના વેપાર પર પડી છે. યુદ્ધના કારણે નિકાસમાં અવરોધ આવતા સ્થાનિક બજારમાં ચિંતામાં વધારો થયો છે. જે માલ વિદેશ મોકલવાનો છે તેના ખર્ચમાં પણ મસમોટો ઉછાળો આવ્યો છે. દરિયાઈ માર્ગે જોખમ વધતા કન્ટેનરના ભાડામાં 4 થી 6 ગણો વધારો થયો છે. આ સાથે ટ્રાન્સપોર્ટ દરમિયાન જોખમ સામે લેવાતો વીમો હવે બમણો થઈ ગયો છે. વેપારીઓનું પેમેન્ટ અટવાઈ રહ્યું છે અને નવા ઓર્ડર મોકલવા રિસ્કી બન્યા છે.
કન્ટેનરના ભાડા 4-6 ગણા વધ્યા
છેલ્લા 4-5 દિવસમાં જ જીરામાં 300 રૂપિયા અને ઈસબગુલ-વરિયાળીમાં પણ 200 થી 300 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.નિકાસ અટકતા અને પડતર મોંઘી થતા મુખ્ય પાકોના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જો ભાવની વાત કરીએ તો
જીરું: અગાઉનો ભાવ 4500 – 4800 રૂપિયા હતો, જે ઘટીને 4000 – 4200 રૂપિયા થયો છે. (રૂ. 500 – 600નો ઘટાડો)
ઈસબગુલ: અગાઉના 2500 – 2600 ના ભાવ સામે આજના ભાવ 2300 – 2400 રૂપિયા બોલાઈ રહ્યા છે. (રૂ. 200નો ઘટાડો)
વરિયાળી: અગાઉ 6000 – 7000ના ભાવ મળતા હતા, તે હવે 5000 – 6000 રૂપિયા થયા છે. (રૂ. 1000નો ઘટાડો)
યુદ્ધ શાંત ન થાય ત્યાં સુધી વેપારમાં કોઈ રિસ્ક લેવા તૈયાર નથી. જો લાંબુ યુદ્ધ ખેંચાય તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધે અને મોંઘવારી વધુ વકરે તેવી શક્યતા છે. ખાડી દેશોમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે નિકાસના ઓર્ડરો મોટા પાયે ખોરવાયા છે. વેપારીઓનું કહેવું છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં મસાલાના ભાવમાં હજુ પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે. એક તરફ ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ નથી મળી રહ્યા, તો બીજી તરફ એક્સપોર્ટર્સ માટે મોંઘા ભાડા અને અટવાયેલા પેમેન્ટ માથાનો દુખાવો બન્યા છે. હાલ તો ઊંઝાનું માર્કેટ યાર્ડ ‘વેઈટ એન્ડ વોચ’ની સ્થિતિમાં છે અને વિશ્વમાં શાંતિ સ્થપાય તેની રાહ જોઈ રહ્યું છે, જેથી અટકેલો વેપાર ફરીથી પાટે ચડી શકે.